Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વડોદરાથી અચાનક ગુમ થયેલ જોષી પરિવાર પોલીસ તપાસમાં સીસીટીવી ફુટેજમાં ઇકો ગાડીમાં બેસી અમદાવાદ તરફ જતા જોવા મળ્‍યા

પોલીસે મોબાઇલ ફોનના ડેટા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી

વડોદરાઃ વડોદરાના કપુરઇ ચોકડી પાસે રહેતા જોષી પરિવારના ચાર સભ્‍યો અચાનક ગુમ થઇ જતા ડભોઇ ખાતે રહેતા તેના મોટાભાઇ પ્રવિણભાઇ જોષીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજ તપાસના જોષી પરિવારના ચારેય સભ્‍યો રાહુલ જોષી, પત્‍ની ગીતા, પુત્ર પાર્થ અને પુત્રી પરી ઇકો ગાડીમાં બેસી અમદાવાદ તરફ જતા જોવા મળ્‍યા હતા. પોલીસે મોબાઇલ ફોનના ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે.

શહેરનો જોષી પરિવાર છેલ્લા કેટલાક દિવસથી રહસ્યમય રીતે ગૂમ થતા હડકંપ મચ્યો છે. જોષી પરિવારના 4 સભ્યો ગૂમ થયા છે. આખો પરિવાર ગૂમ થઈ જતા સંબંધીઓ ચિંતિત છે અને પોલીસ પણ આ પરિવારને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. આ મામલે એક મહત્વના સમાચાર આવ્યા છે.

પરિવારને શોધવા માટે પોલીસ સીટીટીવી ફૂટેજ પણ ફંફોળી રહી છે. આ જ કડીમાં પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં એક સીસીટીવી ફૂટેજમાં આ પરિવાર ઈકો ગાડીમાં બેસીને અમદાવાદ તરફ જતો જોવા મળ્યો છે. પોલીસે મોબાઈલ ફોનના ડેટા પણ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઘરમાંથી મળેલા પત્રમાં લખેલા ચાર નામ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ તપાસમાં નીરવ અને રાહુલ ભુવા હોટલ દ્વારકેશમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અલ્પેશ મેવાડા અને બીટ્ટુભાઈ લોન આપવાનું કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

શું છે મામલો?

અત્રે જણાવવાનું કે ડભોઇના વતની અને વર્ષો પૂર્વે વડોદરી ભાગોળ વિસ્તારમાં રહેતા અને હાલ વડોદરાના કપૂરઈ ચોકડી ખાતે આવેલ કાન્હા આઇકોનના ઈ ટાવરના 303 નંબરના ફ્લેટમાં રહેતા રાહુલ જોષી, તેમની પત્ની નીતા જોષી, પુત્ર પાર્થ જોષી અને પુત્રી પરી જોષી 20 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરેથી અજાણ્યા કારણોસર નીકળી ગયા. પરિવાર ફ્લેટમાંથી નીકળતા સમયે સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યો હતો. પરિવારનો કોઈ પત્તો ન લાગતાં ગુમ  થયેલા રાહુલ જોષીના ડભોઇમાં રહેતા મોટાભાઈ પ્રણવ જોષીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે ગુમ થનાર પરિવારની તપાસ શરૂ કરી છે. ગુમ થનાર રાહુલનાભાઈ પ્રણવ જોષીએ કહ્યું કે, મારા ભાઈનો પરિવાર આર્થિક સંકડામણમાં મૂકાયો છે, જેને લઈ ઘરેથી ચાલ્યા ગયા હોવાની શક્યતા છે. રાહુલના પિતરાઈભાઈ અને રાહુલની પત્ની નીતાબેનના ભાઈએ પરિવારને ઘરે પરત ફરવા આજીજી કરી છે, સાથે જ કોઈ પણ સમસ્યા હશે તો પરિવાર મદદરૂપ થશે તેવી ખાતરી પણ આપી છે.

ખાનગી શાળામાં શિક્ષક

ગુમ થનાર રાહુલ જોષી વડોદરામાં ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કાન્હા આઇકોનમાં રાહુલ જોષીએ તેઓના મિત્ર નિરવભાઈના નામે ફ્લેટની લોન લીધી હતી, ફ્લેટ 29 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ફ્લેટનો માસિક હપ્તો રાહુલ જોષી અને તેઓના મિત્ર નીરવભાઈ 50% ભરતા હતા. જેથી પોલીસે નાણાં લેણદેણની કોઈ બાબત છે કે કેમ તેને લઈ નીરવ નામના શખ્સની પૂછપરછ પણ હાથ ધરી હોવાની માહિતી છે. રાહુલભાઇના ફ્લેટમાં રહેતા તેમના પાડોશીઓ કહે છે કે ફ્લેટમાં મોટાભાગના લોકો પાસેથી તેમને ઉધાર પર નાણાં લીધા છે, સાથે જ બહારથી પણ નાણાં લીધા હોવાથી લોકો રૂપિયાની માંગ કરવા ઘરે આવતા હતા. રાહુલભાઇ અને તેમના પરિવારનો સ્વભાવ ખૂબ સરસ હતો અને છેલ્લા દોઢ વર્ષથી અહીંયા તેવો રહેતા હતા. પોલીસે આજે પરિવારના સભ્યોને સાથે રાખી રાહુલભાઇના ફ્લેટનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા ઘરેથી 10 પાનાંની ચીઠ્ઠી મળી આવી, તેમજ 1 ચીઠ્ઠી અલગથી મોટા અક્ષરે લખેલી પણ મળી આવી. આ ઉપરાંત ઘરમાંથી 4 મોબાઈલ ફોન પણ મળી આવ્યા.

ગુમ થનાર રાહુલ જોષીએ 10 પાનાંની ચીઠ્ઠીમાં એવું તો શું લખ્યું છે તેની પોલીસે તપાસ શરૂ કરી છે. ચીઠ્ઠીમાં રાહુલ જોષીએ પરિવારના મોત માટે 4 લોકોને જવાબદાર ઠેરવ્યા છે. ચીઠ્ઠીમાં લખ્યું છે કે, નીરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઈ, અલ્પેશ મેવાડાને સજા આપો, આ ચારેય અમારા મોત માટે જવાબદાર છે.

(5:43 pm IST)