Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કેજરીવાલને જમવા બોલાવનાર રીક્ષાવાળો નીકળ્‍યો મોદી ફેન, હું આપ સાથે નથી : ભાજપ માટે કામ કરૂ છુઃ કર્યો ધડાકો

ભાજપનો ખેસ પહેરીને PMની સભામાં પહોંચતા રાજકીય ગરમાવો : કેજરીવાલ સાહેબે પ્રોટોકોલ તોડ્‍યો એનું મને દુઃખ લાગ્‍યું હતું: રીક્ષા ચાલક

અમદાવાદ, તા.૩૦: દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્‍યારે ગુજરાત પ્રવાસે આવ્‍યા હતા. ત્‍યારે તેઓ અમદાવાદના ઓટો રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા ગયા હતા. ત્‍યારે હવે આ જ રીક્ષા ચાલક આજે PM નરેન્‍દ્રભાઇ મોદીની જાહેર સભામાં પહોંચ્‍યા છે.

તમને જણાવી દઇએ કે, શહેરના અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્‍તારના દંતાણીનગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા માટે પહોંચ્‍યા હતા. ત્‍યારે હવે આ જ રીક્ષા ચાલક PM મોદીની જાહેરસભામાં પહોંચતા તેને આ અંગે સ્‍પષ્ટતા કરતા જણાવ્‍યું કે, રીક્ષા યુનિયને મને જમવાનું પૂછવા કહ્યું હતું. મને કંઈ ખબર ન હોતી. હું તો પહેલેથી ભાજપ પ્રેમી છું. આમ પણ ગુજરાતીના ઘરે કોઈ જમવા આવે એટલે એ તેને પ્રેમથી જમાડે છે. જમવા સિવાય કોઈ પણ પ્રકારની ચર્ચા આજ દિન સુધી નથી થઈ. હું ભાજપ અને મોદી સાહેબનો આશિક છું, હું ભાજપ ને જ વોટ કરું છું. કેજરીવાલ સાહેબે પ્રોટોકોલ તોડ્‍યો એનું મને દુઃખ લાગ્‍યું હતું. હું આપ સાથે નથી, ભાજપ માટે કામ કરું છું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ૧૨ સપ્‍ટેમ્‍બરના રોજ અમદાવાદની મુલાકાતે આવેલા દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકો સાથે સંવાદ સાધ્‍યો હતો. જ્‍યાર બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્‍તારમાં રહેતા રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા માટે ગયા હતા. ત્‍યારે હવે આ રીક્ષા ચાલકના ભાજપના ખેસ પહેરીને નરેન્‍દ્રભાઇ મોદીની સભામાં પહોંચ્‍યો હોવાથી રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્‍યો છે.

અરવિંદ કેજરીવાલે આ રીક્ષાચાલકના ઘરે જમ્‍યા બાદ નિવેદન આપતા જણાવ્‍યું હતું કે, પૂરા પરિવારે ખૂબ જ ભાવપૂર્વક ભોજન કરીને અમને જમાડ્‍યું હતું. વિક્રમભાઈના પૂરા પરિવારને હું મળ્‍યો. મને ખૂબ જ સારું લાગ્‍યું. આપણે જે ઘરમાં ભોજન કરતા હોઈએ છીએ તે જ ભોજન કરીને મને આનંદ થયો.

(4:05 pm IST)