Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવનો હવાલો રેવન્યુ સેક્રેટરી પંકજ કુમારને સોંપાયો

અધિક મુખ્ય સચિવ સંગિતા સિંહ આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા

અમદાવાદ : રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગિતા સિંહ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા  તેમની જગ્યાનો વધારાનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે. તેઓ આગામી 1લી નવેમ્બરથી ગૃહવિભાગનો અધિક મુખ્ય સચિવનો ચાર્જ સંભાળી લેશે.

 વડાપ્રધાન મોદી આવતી કાલે  ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ દિલ્હીથી સીધા વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સીધા કેવડિયા જશે. વડાપ્રધાન મોદી 31મી ઓક્ટોબરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણીના પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના ગુજરાત મુલાકાતના સમયે જ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ 1986 બેંચના સિનિયર IAS ઓફિસર સંગિતા સિંહ આગામી 31મી ઓક્ટોબરના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહ્યા છે. આવતીકાલે 30મી અને 31મીના રોજ જાહેર રજા હોવાથી અને આજે સરકારી કામકાજનો છેલ્લો દિવસ હોવાથી ગૃહવિભાગનો અધિક મુખ્ય સચિવનો વધારાનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે.

  મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ 1986 બેંચના જ સિનિયર IAS અધિકારી છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી મહેસૂલ વિભાગ સંભાળી રહ્યા છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગિતા સિંહ નિવૃત્ત થતા હવે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કોઇ કાયામી સિનિયર IAS અધિકારીની નિમણૂંક થાય ત્યાં સુધી ગૃહ વિભાગનો અધિક મુખ્ય સચિવનો હવાલો પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે.

વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સિનિયર IAS અધિકારી સંગિતા સિંહ પાસે વિજિલન્સ કમિશનનો પણ વધારાનો હવાલો હતો. પરંતુ હજુ સુધી રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે વિજિલન્સ કમિશનનો હવાલો કોને સોંપવામાં આવે તે અંગેનું કોઇ જાહેરનામું બહાર પાડ્યુ નથી પરંતુ વિજિલન્સ કમિશનનો વધારાનો હવાલો પણ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને જ સોંપવામાં આવે તેવી શક્યતા છે. વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી તેમજ દિવાળીના તહેવારો બાદ ગુજરાતને ગૃહવિભાગના નવા અધિક મુખ્ય સચિવ મળે તેવી શક્યતા છે.

(9:49 pm IST)