Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

આણંદમાં દારૂના ગુન્‍હામાં સંડોવાયેલા યુવકનું સારવાર મળે તે પહેલા લોકઅપમાં હાર્ટ એટેકથી મોત

મૃતક રાજુભાઇના મૃતદેહને પીએમ અર્થે હોસ્‍પિટલમાં ખસેડાયો

આણંદ: આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે દેશી દારૂનાં ગુનામાં આણંદ શહેરમાં બાલુપુરા વિસ્તારમાં રહેતા યુવકની ધરપકડ કરી રાત્રે તેને આણંદ ટાઉન પોલીસ મથકમાં લોકઅપ રૂમમાં રાખવામાં આવ્યો હતો. જયાં મધ્યરાત્રીનાં અઢી વાગ્યાનાં સુમારે તેનું છાતીમાં દુ:ખાવો અને ગભરામણ થતા મોત નિપજયું હતું. પ્રાથમિક તબક્કે આરોપીને હાર્ટએટેક આવતા તેનું મોત નિપજયું હોવાનું મનાઈ રહ્યું છે.

આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે દેશી દારૂનાં ગુનામાં સંડોવાયેલા અને આણંદ શહેરમાં બાલુપુરા વિસ્તારમાં રહેતા અને મૂળ સાવલી તાલુકાનાં ગાડીયાપુરાનાં રાજુભાઈ પ્રતાપભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી અને તેની પુછપરછ અને તપાસ ચાલું હોઈ રાત્રીનાં સુમારે એલસીબી પોલીસે આરોપી રાજુભાઈ પ્રતાપભાઈ ઠાકોર(ઠાકરડા)ને આણંદ ટાઉન પોલીસ મથકનાં લોકઅપ રૂમમાં રાખવામાં આવ્યો હતો. રાત્રે જમી પરવારીને આરોપી રાજુભાઈ લોકઅપમાં સુઈ ગયો હતો.

રાત્રે અઢી વાગ્યાનાં સુમારે તેને બાથરૂમ જવું હોઈ તેણે લોકઅપ ગાર્ડને જણાવતા લોકઅપ ગાર્ડએ તેને લોકઅપમાંથી બહાર કાઢીને બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેને પરત લોકઅપમાં મુકી દીધો હતો. થોડીવાર બાદ રાજુભાઈને છાતીમાં દુ:ખાવો થતા તેમજ ગભરામણ થતા લોકઅપમાં રહેલા અન્ય કેદીઓએ આ અંગે લોકઅપ ગાર્ડને જાણ કરતા લોકઅપ ગાર્ડએ તાત્કાલિક રાજુભાઈને લોકઅપમાંથી બહાર કાઢયો હતો. તેમજ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરી હતી. પરંતુ સારવાર માટે લઈ જવાય તે પહેલા જ રાજુભાઈનું મોત નિપજતા ટાઉન પી.આઈ એચ આર બ્રહ્મભટ્ટ તાત્કાલિક પોલીસ મથકમાં દોડી આવ્યા હતા અને મૃતક રાજુભાઈનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

જનરલ હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારી વિમલકુમાર બારોટની હાજરીમાં મૃતદેહનું ઈન્કવેસ્ટ ભરી મૃતદેહનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.એન પંચાલએ પણ મૃતદેહનું નિરિક્ષણ કર્યું હતું. પોલીસે આ બનાવ અંગે અપમૃત્યુની નોંધી કરી રાજુભાઈનાં મૃતદેહને પેનલ ડોકટરથી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું મનાય છે.

મૃતક રાજુભાઈ છેલ્લા કેટલાક સમયથી દેશી અને વિદેશી દારૂનાં વેપાર સાથે સંડોવાયેલો હતો. તેમજ તે મૂળ વડોદરા જિલ્લાનાં સાવલી તાલુકાનાં ગાડીયાપુરાનો રહીસ હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે પોતાનાં મિત્ર સાથે આણંદનાં બાલુપુરામાં રહેતો હતો. તેમજ તેનાં પિતા પ્રતાપભાઈને પેરાલીસીસ હોઈ તેમજ રાજુભાઈ તેઓનો એક માત્ર પુત્ર હોઈ પ્રતાપભાઈ ઠાકોર નિરાધાર અવસ્થામાં મુકાઈ ગયા છે.

(5:46 pm IST)