Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સુરતના ઉમરા વિસ્‍તારમાં આવેલ શ્રી રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ જીવતા કરચલાના અભિષેક ચડાવવાની માનતા રાખતા ભાવિકો

જીવતા કરચલા સાથે વેચનારા વેપારીઓની લાઇનો લાગે છે

સુરત: શહેરના ઉમરા વિસ્તારમાં એક અનોખા મહાદેવનું મંદિર આવે છે. સામાન્ય રીતે મહાદેવ પર દુધ, જળ અને તલ જેવા પદાર્થોનો અભિષેક કરવામાં આવતો હોય છે. જો કે સુરતના રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ શિવજી પર જીવતાં કરચલાંથી અભિષેક કરવામાં આવે છે. મોટા શ્રદ્ધાળુઓ દ્વારા જીવતાં કરચલાં ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે.

જો કોઇને કાનને લગતી બિમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનનાં રોગ દુર થાય છે. બદલામાં ભાવિકો દ્વારા કરચલા ચડાવવામાં આવે છે. લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી મંદિરે જીવતાં કરચલાં લઈને પહોંચી પૂજા-અર્ચના કરતા હોય છે. આ સાથે આજના દિવસે મંદિરના નજીકના સ્મશાન ઘાટ પર મૃત્યુ પામનારનાં પરિવારજનો મરનારની ઈચ્છા અનુસાર તેની મન ગમતી ખાવાની અને પીવાની વસ્તુ અર્પણ પણ કરે છે.

આ તમામ વિધિ આજના દિવસે જ થતી હોવાથી મહાદેવના મંદિરની બહાર ભક્તોની લાંબી લાઇનો લાગી હતી. આ ઉપરાંત જીવતા કરચલા સાથે વેચનારાઓની પણ લાઇનો લાગી હતી. ભક્તો પોતાની માનતા પુર્ણ કરવા માટે આ વર્ષે પણ જીવતા કરચલા ખરીદીને ભક્તો પ્રવેશે છે અને પોતાની માનતા પુર્ણ કરતા હોય છે. જીવતા કરચલાનો અભિષેક કરવા પાછળ લોકવાયકા જોડાયેલી છે કે, રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. ત્યાર બાદ તેમણે પોતાની કમાનથી આ શિવલિંગ બનાવ્યું હતું અને પુજન અર્ચન કર્યું હતું. ત્યાર બાદ ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા. જેથી ભગવાને અહીં પિતૃ તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો હતો.

(5:22 pm IST)