Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગોધરામાં મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે નવા 120 કરોડના વિકાસ કામોનું ખાત મૂહૂર્ત કરાયું

શહેરમાં લાંબા સમય બાદ ઓવરબ્રિજ તથા અંડરપાસ બનશે

પંચમહાલના ગોધરામાં ગુજરાત સરકારના માર્ગ મકાન વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીના હસ્તે નવા અંડરબ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ સહિતના 120 કરોડના વિકાસ કામોનું ખાત મૂહૂર્ત કરાયું છે. ગોધરા શહેરમાં લાંબા સમય બાદ ઓવરબ્રિજ તથા અંડરપાસ બનવા જઈ રહ્યો છે.

ગોધરાનાં મુખ્ય માર્ગ ઉપર 1.5 કિલોમીટર લાંબો બસ સ્ટેન્ડથી દાહોદ રોડ સુધી ઓવર બ્રીજ બનાવવામાં આવશે.

ગોધરા શહેરના જાફરાબાદ રેલવે ફાટક માટે 12 કરોડ 33 લાખના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ કરાશે. તો રૂ. 58 કરોડના ખર્ચે બસ ડેપોથી પ્રભા કોતર સુધી ફ્લાઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ વિકાસ કામોથી આગામી સમયમાં શહેરમાં આ બંને બ્રિજનું નિર્માણ થતા ટ્રાફિક સમસ્યા હળવી થઈ જશે. ગોધરામાં હેવી લોડેડ વાહનો અને વધતાં ટ્રાફિકને કારણે થતા અકસ્માતોનાં નિવારણ માટે વર્ષોથી માંગવામાં આવેલાં ઓવરબ્રિજ તથા અંડરપાસનો આખરે ગોધરાની જનતાને લાભ મળશે.

વિકાસ કામોના ખાત મુહૂર્ત પ્રસંગે રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદીએ ટ્રાયબલ વિસ્તારના વિકાસ માટે રૂ. 450 કરોડના ખર્ચે 295 જેટલા કોઝ વે બનાવવાની જાહેરાત કરી હતી. કોઝ વે બનતા જ ગ્રામ્ય વિસ્તારના લોકોને ચોમાસા દરમિયાન ભોગવવી પડતી હાલાકીનો અંત આવશે. રાજ્યપ્રધાન સાથે ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી પણ ખાત મુહૂર્તના પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જણાવ્યું હતું કે મારા લગ્ન સમયે જેટલી ખુશી નહોતી થઈ એટલી ખુશી ગોધરા શહેરના વિકાસના કામોને વેગ મળતા થઈ છે.

(9:57 am IST)