Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ખોટુ બોલવાનો રેકોર્ડ અને જમાનત જપ્‍ત કરવાનો વર્લ્‍ડ રેકોર્ડ આપના નેતાઓ જ બનાવશેઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરના આપ પર પ્રહાર

કોંગ્રેસ તૃષ્‍ટિકરણની રાજનીતિ કરે છે, ચૂંટણી સમયે જનતાને વહેચવાનું કામ કોંગ્રેસનું: અનુરાગ ઠાકોર

અમદાવાદઃ અમદાવાદમાં ભાજપના નેતા અને કેન્‍દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે આપ અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્‍યું કે, ભાજપ પર બે દશકાથી જનતાને વિશ્વાસ રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં અનુરાગ ઠાકુર સાથે ઝી 24 કલાક એ ખાસ વાતચીત કરીને તેમની પાસેથી સાંપ્રદ સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરી હતી.

અનુરાગ ઠાકુરે વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનો ફ્યુઝ ઉડી ગયો છે, એટલે કોંગ્રેસના કોઈ નેતાઓ દેખાઈ રહ્યા નથી. રાહુલજી હિમાચલમાં પણ ના આવ્યા, અહીંથી પણ દૂર રહ્યા. ભાજપે 27 વર્ષમાં કરેલા કામ એ નવા ભારતની બુલંદ તસવીર છે. કોંગ્રેસને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર લખાયેલી દેખાઈ રહી છે, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. કોંગ્રેસ ચૂંટણી સમયે સમાજને વહેંચવાનું કામ કરે છે. ભાજપે 27 વર્ષમાં ગુજરાતમાં જે કર્યું છે એ નવા ભારતની તસવીર છે. ભાજપ પર બે દશકોથી જનતાનો વિશ્વાસ ગુજરાત ભાજપ પર રહ્યો છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલા નિવેદન પર અનુરાગ ઠાકોરનો જવાબ

કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલા નિવેદન પર અનુરાગ ઠાકોરે જવાબ આપતા કહ્યું કે, એક સમયે જે રામ મંદિરનો વિરોધ કરતા હતા, સોમનાથનો જીર્ણોધાર નહોતા કરવા માંગતા, કેદારનાથમાં જ્યારે આપદા આવી ત્યારે પણ હાથ ઊંચા કર્યા આ એ જ કોંગ્રેસ પાર્ટી છે, મોદીજીના આવ્યા બાદ દિવ્ય સોમનાથ, કાશી, કેદારનાથ અને હવે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. ભાજપ એના ગૌરવશાળી ઇતિહાસની યાદ રાખે છે અને આગળ વધારે છે.

અનુરાગ ઠાકોરે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે કેટલાક નેતાઓ આ રીતે સમાજને વહેંચવાની હિંમત કરે છે. અમે તો સૌના સાથ અને સૌના વિકાસની વાત કરીએ છીએ. આમ આદમી આપદાના સમયમાં લોકો માટે કામ કરવાને બદલે 1200 કરોડ રૂપિયા પ્રચાર પ્રસારમાં ખર્ચ કરી રહ્યું છે. 

અનુરાગ ઠાકોરે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશની 403 બેઠકોમાંથી દરેક બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જમાનત જપ્ત થઈ હતી. આપનું ઉતરાખંડમાં ખાતું પણ ખુલ્યું નહોતું. હિમાચલ પ્રદેશમાં તો આમ આદમી પાર્ટી દુકાન બંધ કરીને જતા રહેવું પડ્યું હતું. ખોટું બોલવાનું રેકોર્ડ આમ આદમી પાર્ટીના નેતાઓ બનાવી રહ્યા છે અને જમાનત જપ્ત કરવાનો રેકોર્ડ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ જ બનાવશે. ગુજરાતના તમામ જગ્યાએ જઈએ એટલે લોકો ભાજપની સાથે દેખાઈ રહ્યા છે. પક્ષ અને લોકોની વચ્ચે જે વિશ્વાસ પેદા થયો છે એ સુરક્ષાના કારણે પેદા થયો છે. ભાજપના શાસનમાં લોકોએ સુશાસન જોયું છે.

અનુરાગ ઠાકોરે છેલ્લે જણાવ્યું હતું કે, કોની કેટલી બેઠક આવશે એ આંકલન કરવાનું કામ મીડિયાનું છે. અત્યાર સુધીની સૌથી મોટી જીત જનતાના આશીર્વાદથી ભાજપને મળશે.

(4:51 pm IST)