Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

મનરેગા યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોના આર્થિક વિકાસ માટે દૈનિક વેતનના વધારાને અને પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચુકવાતા બીજા હપ્તાના ફેરફારને આવકારતા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ

મનરેગા યોજના અંતર્ગત રાજ્યના શ્રમિકોના દૈનિક વેતનદર માં વધારો કરાયો:નવો દૈનિક વેતન ,દર રૂ.૨૫૬/- : વર્ષ ૨૦૨૨-૨૩માં મનરેગા અંતર્ગત ૧૦.૧૮ લાખ કુટુંબોએ ૪૫૮.૯૨ લાખ માનવદિનની રોજગારી મેળવી : રાજયના ગરીબોના હિતમાં પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજનાના લાભાર્થીઓને બીજો હપ્તો વધારીને રૂા.૮૦,૦૦૦ કરવા અને ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૧૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવા અંગે કરેલી દરખાસ્તને કેન્દ્ર સરકારે આપી મંજૂરી : વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧,૪૪,૩૮૨ આવાસો મંજૂર

રાજકોટ તા.૨૮ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, શ્રમિકોનો આર્થિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રીશ્રીએ મનરેગા સંદર્ભે માહિતી આપતાં ઉમેર્યું કે, ગ્રામ્યકક્ષાએ શ્રમિકોને વધુ વેતન મળે અને તેઓના જીવન ધોરણમાં સુધારો આવે તે હેતુથી કેન્દ્ર સરકાર શ્રી દ્વારા દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં શ્રમિકોના વેતનદરમાં વધારો કરવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ ગ્રામ કક્ષાએ બિનકુશળ શ્રમિકોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગુજરાત માટે દૈનિક વેતન દર રૂ.૨૩૯/- થી વધારી ને રૂ.૨૫૬/- કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦.૧૮ લાખ કુટુંબોએ ૪૫૮.૯૨ લાખ માનવદિનની રોજગારી મેળવી છે. 

મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે જણાવતાં કહ્યું કે, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ- ૨૦૨૨-૨૩ અંતર્ગત  ૧,૪૪,૩૮૨ આવાસો મંજૂર કરાયા છે. મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કાહ્યું કે, વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં કુલ  ૪,૦૨,૮૨૪ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. 

મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રૂા. ૧ લાખ ૨૦ હજાર ની સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો મંજૂરીના સમયે આપવામાં આવે છે. ત્યારબાદ મકાનના પાયા, પ્લીન્થ, લીંટલ, છત અને પૂર્ણતાના આધારે બીજો હપ્તો અને ત્રીજો હપ્તો ચુકવવામાં આવતો હોય છે. હાલમાં પ્રથમ હપ્તા તરીકે ૩૦ હજાર આવાસ મંજૂર થયેથી, બીજા હપ્તા તરીકે ૫૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી, ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૪૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવામાં આવે છે.

મંત્રીશ્રીએ વધુમાં માહિતી આપતા કહ્યું કે, બાકી રહેલ તમામ આવાસો સમય મયાદામાં પૂર્ણ થાય અને જરૂરી ખર્ચ પણ ઝડપથી થાય જેથી કરીને બીજા અને ત્રીજા હપ્તાની રકમમાં ફેરફાર કરી બીજો હપ્તો રૂા. ૮૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી અને ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૧૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવા અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરતા તેમણે ગુજરાતની રજૂઆતને  ગ્રાહય રાખી છે.

જેથી આવાસની મંજૂરી સમયે  પ્રથમ હપ્તો ૩૦ હજાર, બીજો હપ્તો રૂા. ૮૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી અને ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૧૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવામાં આવશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

(5:07 pm IST)