Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

83% સ્ત્રીઓ એકલતા દૂર કરવા મોબાઈલનો ઉપયોગ કરતી હોવા સહિતના રસપ્રદ તારણ સામે આવ્યા: મનોવિજ્ઞાન ભવન દ્વારા 1170 ગૃહિણીઓ પર સર્વે હાથ ધરવામાં આવ્યો

94% સ્ત્રીઓ મોબાઈલમા સિરિયલ જોઈને પોતાનો શોખ પૂરો કરે છે અને એકલતા દૂર કરે છે.

અમદાવાદઃ `આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ મોબાઈલ વિના જાણે જીવન જીવવું અશક્ય થઇ ગયું છે. લગભગ એકવાર એક ટાણાનું ભોજન ન આપો તો ચાલે પણ મોબાઈલ વિના ન ચાલે. માત્ર બાળકોને જ મોબાઈલની લત હોય એવુ નથી સ્ત્રી - પુરુષોમાં પણ મોબાઈલની લત જોવા મળે છે. મોબાઈલ જેટલો બાળકો ઉપયોગ કરે છે એ જ રીતે સ્ત્રીઓ અને પુરુષો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે, દરેકને મોબાઈલનો ઉપયોગ કરવાની રીત જુદી જુદી છે. ઘણી સ્ત્રીઓ મોબાઈલ શા માટે ઉપયોગમાં લે છે તે જાણવા અંગે મનોવિજ્ઞાન ભવન દ્વારા 1170 ગૃહિણીઓ પર સર્વે હાથ ધરવામાં આવ્યો. જેમાં 83% સ્ત્રીઓ એકલતા દૂર કરવા મોબાઈલનો ઉપયોગ કરતી હોવા સહિતના રસપ્રદ તારણ સામે આવ્યા છે.

78% સ્ત્રીઓ પોતાનો સમય વ્યતીત કરવા મોબાઈલનો ઉપયોગ કરે છે.ઘરમાં પતિ, સાસુ સસરા, બાળકો હોવા છતાં અમે એકલી અને નિરાશ હોઈએ છીએ. એક કુટુંબ હોવા છતાં અમે નિરાશ અને હતાશ હોઈએ. અમારા પર કોઈ ધ્યાન ન આપે ત્યારે કોઈ મોબાઈલ જેવા સાધનનો ઉપયોગ કરવો પડે.

83% સ્ત્રીઓએ કહ્યું એકલતા દૂર કરવા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ

67% સ્ત્રીઓ ઘરના કંકાસના કારણે માઈન્ડ ફ્રેશ કરવા મોબાઈલ વાપરે છે.

77% સ્ત્રીઓએ એવુ કહ્યું કે અમે ઘરમાં રહીને ગાંડા જેવા થઇ જઈએ નહિ માટે મોબાઈલ બહુ સારુ સાધન છે જેના કારણે અમારો દિવસ પસાર થઇ જાય છે.

81% સ્ત્રીઓ પોતાના બાળકો સાથે મોબાઈલ મા એકટીવીટી જોઈને પોતાના બાળકો સાથે ટાઈમ પસાર કરે છે.

86% સ્ત્રીઓએ એમ કહ્યું કે મોબાઈલ ન હોત તો સંપર્ક વગરના જીવન જેવું લાગે.

91% સ્ત્રીઓએ એમ પણ કહ્યું કે મોબાઈલ ન હોત ખાલીપો જીવનમાં છવાઈ જાત.

82% સ્ત્રીઓએ કહ્યું કે મોબાઈલ એક ઉપયોગી સાધન છે. જયારે કોઈ કામમા ન આવે ત્યારે મોબાઈલ કામ મા આવે.

94% સ્ત્રીઓ મોબાઈલમા સિરિયલ જોઈને પોતાનો શોખ પૂરો કરે છે અને એકલતા દૂર કરે છે.

86% સ્ત્રીઓએ કહ્યું કે પિયર જવા ન મળે તો કઈ નહિ માતાપિતા સાથે કે બહેન કે બહેનપણી સાથે વાતચીત કરીને દુઃખ હળવું કરી લઈએ છીએ અને થોડા ગપાટા પણ મારી લઈએ છીએ.

54% સ્ત્રીઓ ઘરે બેઠા ઓનલાઇન શોપિંગ કરવા મોબાઈલનો ઉપયોગ કરે છે.

69% સ્ત્રીઓ મોબાઈલના ઉપયોગથી વર્ક ફ્રોમ હોમ થી ઘરે બેઠા સારુ એવુ કમાઈ છે. જેથી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે.

79% સ્ત્રીઓએ કહ્યું કે મોબાઈલના સાધન દ્વારા અમે ઘણુંબધું નવું નવું શીખી શકીએ છીએ. અમે બહાર ન જઈ શકીએ તો કઈ નહિ પણ દુનિયામાં થતી અવનવી ખબર વિશે માહિતી મેળવી શકિએ છીએ.. જેથી અમને આ મોબાઈલ નામનું સાધન એ કોઈની કમી અનુભવવા દેતું નથી. અમને પણ એમ થાય છે કે અમારું કોઈક છે. ભલે એ નિર્જીવ છે પણ અમારી માટે ખાસ ઉપયોગી સાધન છે.

ઘણા લોકો એવુ કહે છે કે મોબાઈલ એ જિંદગી બગાડે છે પણ એ વાસ્તવિકતા છે કે ઘણા લોકોની જિંદગી સુધારી પણ શકે છે. મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો એ વ્યક્તિ પર ડીપેન્ડ છે કોઈ સાધન પર નહિ. મોબાઈલ પણ એક સિક્કાની બે બાજુ જેવો છે. જેના વિધાયક અને કેટલાક નિષેધક પાસા પણ છે.પરંતુ તદ્દન ખરાબ છે એવું ન કહી શકીએ. ઘણી સ્ત્રીઓએ તો એવુ પણ કહ્યું કે અમારા ઘરના લોકો ક્યારેક અમને મોબાઈલ જોતા જોવે તો કહે કે આ મોબાઈલને કારણે માનસિક બીમારીનો ભોગ બની ગઈ છે. મોબાઈલ જોઈ જોઈને ગાંડી ન થઇ જાય પણ એને શું ખબર કે મોબાઈલ અમારા માટે એક વ્યક્તિ સમાન છે જે કોઈ ન હોય ત્યારે અમારો સહારો બને છે.

· મોબાઈલમા શું જોઈને સ્ત્રીઓ પોતાનું માઈન્ડ ફ્રેશ કરે છે ?

- રસોઈ શો જોઈને નવી નવી વાનગીઓ બનાવવી

- સિરિયલ જોવી

- કોમેડી લાઈવ શો જોવા

- મુવી જોવું

- ઇન્સ્ટાગ્રામમાં નવી નવી પોસ્ટ જોવી

- ફેસબૂકનો ઉપયોગ કરવો

- વ્હોટ્સએપ નો ઉપયોગ કરવો

- યુ ટ્યુબમાંથી નવી નવી વાનગીઓ શીખવી.

- ભજન - ધૂન -કીર્તન અને કથા સાંભળવી.

- સમાચાર જોવા

- બાળકો માટે નવી નવી એક્ટિવિટી જોઈને બાળકને શીખવાડવી

- મોટામાં મોટો ઉપયોગ સહેલી, માતાપિતા કે સબન્ધી સાથે વાતચીત કરીને હાશકારો મેળવીએ છીએ.

- ગેમ્સ રમવી

- સ્નેપચેટમા ફોટો પાડવા

- રિલ્સ બનાવવી

- ફોટો પાડી વિડિઓ બનાવવા

- મનોરંજન માટે

· મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ એકલતા દૂર કરવાની રીતો

- સૌ પ્રથમ પોતાની જાતને પ્રેમ કરો.

- પોતાના સ્વાસ્થય માટે પણ સમય કાઢો

- મ્યુઝિક સાંભળો

- ડાન્સ જેવી પ્રવૃત્તિ કરો

- પૌરાણિક કથાઓ, લોક કથાઓ વિશે માહિતી આપો

- બાળકોને થોડીક ધાર્મિક કાર્યની વાત કરો

- તમારા સંતાનોને તમારા બાળપણની વાતો શેર કરો

- માનસિક અને શારીરિક શાંતિ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય ધ્યાન, યોગા, કસરત કરી સારુ સ્વાસ્થ્ય જાળવવાના પ્રયત્ન કરવા પણ હિતાવહ છે.

(7:00 pm IST)