Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અરવલ્લી જિલ્લામાં ઠંડીને કારણે ત્રણ ખેડૂતો મોતને ભેટયાઃ પિયત માટે રાત્રે વિજળી અપાતી હોવાથી ખેડૂતો મજબુર

ઉદ્યોગોને વિજળી અપાય છે, ખેડૂતો માટેની સરકારી કિશાન સુર્યોદય યોજના માત્ર કાગળ પર

અમદાવાદઃ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ત્રણ ખેડૂતોના મોત નીપજ્‍યા છે. સખત ઠંડીને કારણે દિવસે ખેતી માટે વિજળી ન અપાતા ઠંડીમાં રાત્રે ખેતરે જવાથી ખેડૂતોમાં અસંતોષની લાગણી પ્રવર્તી છે.

ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છેકે, ગુજરાતમાં ઠંડી વધશે અને માવઠાની પણ સંભાવના વ્યકત કરી છે. હાડ થીજવતી ઠંડીને કારણે એક તરફ સરકારી તંત્ર દ્વારા લોકોને બને ત્યાં સુધી કામ વિના ઘરની બહાર ન નીકળવાની સલાહ આપે છે. અને બીજી તરફ ખેતી માટે રાત્રે જ વિજળી અપાતી હોવાથી જગતના તાત કહેવાતા ખેડૂતોને મોડી રાત્રે હાર્ડ થીજવતી ઠંડીમાં પિયત માટે ફરજિયાત ખેતરમાં જવું પડે છે. આજે અરવ્વલી જિલ્લાના વીરણીયા ગામના ખેડૂતનું ઠંડીના કારણે મોત થયું છે. દિવસે ખેડૂતોને વિજળી આપવાની વાત ચાલી આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે. છેલ્લાં 10 દિવસમાં ગુજરાતમાં ઠંડીને કારણે 3 ખેડૂતોના મોત થયા છે. છતાંય સંવેદનશીલ કહેવાતી ગુજરાતની ભાજપ સરકારના પેટનું પાણી પણ કેમ હાલતું નથી એ મોટો સવાલ છે.

ખેડૂતો રાત્રે ખેતરમાં પાકને પિયત કરવા માટે મજબૂર બન્યાં છે. સવાલ એ થાય છેકે, વિજળી રાત્રે જ કેમ અપાય છે. સરકાર ધારે તો ખેડૂતોને દિવસે પણ વિજળી આપી શકે છે. 23 પાટણમાં ઠંડીના કારણે એક ખેડૂતનું ઠંડીના કારણે મોત થયું. ત્યાર બાદ 27 જાન્યુઆરી 2023 અને 28 જાન્યુઆરી 2023ના રોજ બે દિવસમાં અરવલ્લી જિલ્લામાં બીજા બે ખેડૂતોના ઠંડીના કારણે મોત થયા છે. ખેડૂતોને રાત્રે વીજળી અપાતી હોવાથી ખેડૂતોને ખેતીવાડીનું કામ કરવા માટે, ખેતરમાં પાણી વાળવા માટે ખેડૂતોએ રાત્રે ઠુઠવાતા ઠુઠવાતા આવી કાતિલ ઠંડીમાં પણ ખેતરમાં જવાની ફરજ પડે છે. 24 કલાક વિજળી અપાતી હોવાની અને વિકાસની વાતો કરતી ગુજરાત સરકારના વાયદાઓ અહીં પોકળ સાબિત થઈ રહ્યાં છે. સરકારની આ બેદરકારીના કારણે ખેડૂતોના મોત થઈ રહ્યાં છે જે એક ગંભીર બાબત છે.

આ મુદ્દે  ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલ જણાવ્યુંકે, ગુજરાતની સરકાર તો ખેડૂતો માટે ખુબ સંવેદનશીલ છે. જે ઘટના બની છે તે દુખદ છે. ગુજરાતની ભાજપ સરકારે કિસાન સુર્યોદય યોજનાથી ખેડૂતોને વિજળી આપે છે. દિવસે વિજળી આપવા માટે પુરતો વિજળીનો પુરવઠો નથી. એનો અમે પ્રયાસ કરી રહ્યાં છીએ. પણ કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે તો ત્યાં કેમ ખેડૂતોને દિવસે વિજળી આપવામાં આવતી નથી.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીરાતો રાત ઉદ્યોગો માટે વિજળી માટે વ્યવસ્થા થઈ જાય છે. ડાર્ક ઝોનમાં પણ વિજળી અપાતી હોય તો જગતના તાત માટે વિજળી કેમ નથી અપાતી. દિવસે વિજળી આપવાની માંગ ઉગ્ર બની છે. ગુજરાતના ખેડૂતો મોતને ભેટી રહ્યાં છે ત્યારે તમે બાજુના રાજ્યોની વાતો કરે છે. સૂર્યોદય યોજના તો સાવ કાગળ પર રહી ગઈ છે.

(4:57 pm IST)