Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ભાજપના જ દિગ્ગજ નેતા ડૉ.જયનારાયણ વ્યાસે ભાજપને આડે હાથ લઈ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. એટલું જ નહીં ભાજપ છોડ્યા બાદ તેઓ પહેલીવાર કોંગ્રેસની બેઠકમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું હતું.

સિદ્ધપુરમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું આપી ચુકેલા દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ જોવા મળ્યા હતા. આ દરમિયાન ડૉ.જયનારાયણ વ્યાસ ૫૦૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.

જયનારાયણ વ્યાસે કોંગ્રેસના ઉમેદવારને મોટી જીતથી જીતાડવા હાકલ પણ કરી હતી. બેઠક દરમિયાન જયનારાયણ વ્યાસે કહ્યું કે, કોંગ્રેસ યુક્ત ભાજપ, કોંગ્રેસના ૩૭ ધારાસભ્યો ભાજપમાં ગયા છે. આ દરમિયાન તેમણે સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારને મોટી જીતથી જીતાડવા હાકલ પણ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં  શ્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું ત્યારે ચર્ચાઓ ચાલતી હતી કે તેઓ કોંગ્રેસમાં જશે કે આપમાં ? જોકે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, તેમણે કોંગ્રેસના હાથ પકડી લીધો છે. દરમિયાન ૨૯ ઓક્ટોબરના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ મળ્યા હતા. અને બંને નેતાઓ વચ્ચે સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે ૪૫ મીનિટ સુધી ચર્ચા ચાલી હતી.

બીજા તબક્કાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠકનો સમાવેશ થાય છે. સિદ્ધપુર બેઠક પરથી ભાજપે બળવંતસિંહ રાજપૂતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમની સામે આ પહેલાં જય નારાયણભાઈ બે વખત પરાજિત થયા હતા. કોંગ્રેસે અહી ચંદનજી ઠાકોરને સિદ્ધપુરની બેઠક પરથી ઉભા રાખ્યા છે.

આમ આદમી પાર્ટી તરફથી  સિદ્ધપુર બેઠક પરથી આપના ઉમેદવાર મહેન્દ્ર રાજપુત ચૂંટણી લડશે. સિદ્ધપુરની કુલ વસ્તી ૨,૭૧,૩૦૩ છે

(8:49 pm IST)