Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો: PM ગજવશે 7 સભાઓ:ભારતીય જનતા પાર્ટીથી લઈને આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસે પોતાના દિગ્ગજ રાજનેતાઓને મેદાનમાં પ્રચારની જવાબદારી સોંપી

આજે કેજરીવાલ જામનગરમાં રોડ શો કરશે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે નર્મદા જિલ્લામાં બે રેલીઓને સંબોધશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.  રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તાબડતોડ સભાઓનો દૌર ચાલી રહ્યો છે. કેન્દ્રીય નેતાઓ એક પછી એક રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. આજે પીએમ નરેન્દ્ર મોદી ફરી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાંખવાના છે.
ભારતીય જનતા પાર્ટીથી લઈને આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસે પોતાના દિગ્ગજ રાજનેતાઓને મેદાનમાં પ્રચારની જવાબદારી સોંપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને આ દરમિયાન તેઓ 7 રેલીઓને સંબોધિત કરશે.
પીએમ મોદી બે દિવસના પ્રવાસમાં 7 રેલીઓ કરશે. આજે 27 નવેમ્બરે PM સાંજે 6:00 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે જ્યાંથી તેમનો કાફલો લગભગ 28 કિલોમીટરનો પ્રવાસ કરશે. આ દરમિયાન અલગ-અલગ જગ્યાએ પીએમના સ્વાગત સ્થળો બનાવવામાં આવ્યા છે. બીજી તરફ PM મોદી સાંજે 7:30 વાગ્યે ગોપીનમાં રેલીને સંબોધિત કરશે.
શનિવારે 26 નવેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય ખાતે પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. જેપી નડ્ડાએ આ દરમિયાન કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં અને ભાજપના શાસનમાં ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે. સાથે જ જારી કરાયેલા સંકલ્પ પત્રમાં ભાજપે 5 વર્ષમાં 20 લાખ નોકરીઓ આપવાની વાત કરી છે. તેમજ વિદ્યાર્થિનીઓને ઇલેક્ટ્રિક સ્કુટી આપવાનું વચન આપ્યું હતું. કૃષિના વિકાસ માટે 10,000 કરોડ રૂપિયા ખર્ચવાની વાત થઈ હતી.
જામનગરમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે CM કેજરીવાલ સવારે 11:00 વાગ્યે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારબાદ જામનગરમાં રોડ શો કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ નર્મદામાં કરશે બે રેલીઓ 
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી ગુજરાત પ્રવાસ પર છે. ખડગે આજે નર્મદા જિલ્લામાં બે રેલીઓને સંબોધશે. આ દરમિયાન ખડગે સાથે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ હાજર રહેશે.

(3:41 pm IST)