Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ગાંધીનગર નજીક કોરોના પોઝિટિવ વૃદ્ધ દર્દીએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું

ગાંધીનગર:જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાતના બનાવો વધી રહયા છે ત્યારે આજે સવારના સમયે પણ એક વૃધ્ધે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જો કે વૃધ્ધ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં પોલીસ સહિત અન્ય હાજર લોકો પણ ડઘાઈ ગયા હતા. ઘટનાની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા સરગાસણના સૌદર્ય-૪૪૪માં રહેતા અને પીડબલ્યુડીમાં નિવૃત થયેલા ૬૮ વર્ષીય બાબુલાલ જોઈતારામ સુથાર પરિવાર સાથે અહીં રહેતાં હતા. દરમ્યાનમાં ગત તા.૧૮મીએ તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહયા હતા. દરમ્યાનમાં આજે સવારના સમયે તેમણે પરિવારજનોને કહયું હતું કે તેઓ કાર લઈને દવાખાને બતાવવા માટે જઈ રહયા છે. જો કે દવાખાને જવાના બદલે બાબુલાલ સીધા ગાંધીનગર નજીક આવેલી અડાલજ નર્મદા કેનાલ ખાતે પહોંચ્યા હતા અને જયાં કાર કેનાલની બાજુમાં મુકીને છલાંગ લગાવી દીધી હતી. તેમનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અંગે અડાલજ પોલીસને જાણ થતાં પરિવારજનોને બનાવથી વાકેફ કરવામાં આવ્યા હતા. વૃધ્ધે લખેલી અંતિમ ચીઠ્ઠી પણ મળી આવી છે જેમાં તેમણે દુખાવાથી કંટાળી પગલું ભર્યાનું લખ્યું છે. મૃતક વૃધ્ધ કોરોના પોઝિટિવ હોવાથી પોલીસે એડી નોંધ કરીને પોસ્ટમોર્ટમ કરાવવાના બદલે મૃતદેહને સીધો અંતિમધામ મોકલી આપયો હતો

(6:14 pm IST)