Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

૩૨ વર્ષ બાદ ત્રિપાંખિયો જંગ ચૂંટણી રસાકસીવાળી બની રહેશે

ગુજરાતનાં મતદારોએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી પસંદગી કરવાની છે : ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્‍યારે રાજ્‍યમાં તમામ પાર્ટીએ તડામાર તૈયારીઓમાં લાગી ગઇ છે, રાષ્‍ટ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ખૂબ વધી ગયા છે

અમદાવાદ,તા. ૨૭ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્‍યારે રાજયમાં તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ખુબ વધી ગયા છે,આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત ભાજપના ટોચના નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. રાજયમાં ૩૨ વર્ષ બાદ ફરી એકવાર ત્રિપાંખિયો જંગ જામશે. આ વખતે ગુજરાતમાં ચૂંટણીમાં રસાકસી જોવા મળી શકે છે,એક બાજુ આમ આદમી પાર્ટી મફત રેવડીની જાહેરાત એ પણ ગેરંટી સાથે કરી રહ્યા છે, આ મામલે કોંગ્રેસ પણ વચન આપ્‍યા છે અને લ્‍હાણીની મસમોટી જાહેરાતો કરી છે.ભાજપ પણ હાલ વિકાસલક્ષી કાર્યોના કામ અને ગ્રાન્‍ટ મંજૂર કરીને ઇન્‍કબેકસીથી બચવા સતત પ્રયત્‍ન  કરી રહી છે. આપની ૩૦૦ યુનિટ વીજળી ફ્રીની જાહેરાત મતદારોને આકર્ષિત કરી રહી છે,જયારે કોંગ્રેસ ખેડૂતોના દેવા સહિત જૂની પેન્‍શન યોજના સહિતના ૮ વચનો આપ્‍યા છે ,આ વચનો પણ મતદારો વિચારી રહ્યા છે,ગુજરાત ભાજપનો ગઢ છે એટલે અહીંયા ભાજપ આત્‍મવિશ્વાસ સાથે મજબૂત છે,કારણ કે નરેન્‍દ્ર મોદીની લોકપ્રિયતા ટોચ પર છે. છેલ્લા ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે, ૧૯૯૦ બાદ ફરી એકવાર ત્રિપાંખિયો જંગ જામશે, આમ આદમીની પાર્ટી રાજકીય સમીકરણ બદલી શકે છે.આ ઉપરાંત સાંસદ એસદ ઓવૈસીની પાર્ટી  AIMIM  મુસ્‍લિમ મતોનું ધ્રુવીકરણ કરશે એ વાત તો નક્કી છે જેનો સીધો ફાયદો ભાજપને થશે. આ AIMIM રાજયની ૬૫ બેઠકો પર ચૂંટણી લડશે.

૧૯૯૦ બાદ રાજયમાં ત્રિકોણીયો જંગ જોવા મળશે. ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ, ભાજપ અને કોંગ્રેસ આમને-સામને હતા. ત્રણેય પક્ષોમાં કોંગ્રેસે સૌથી ઓછી ૩૩ બેઠકો જીતી હતી. કોઈ પણ પક્ષને સ્‍પષ્ટ બહુમતી મળી ન હતી. જનતા દળને ૭૦ અને ભાજપને ૬૭ બેઠકો મળી હતી. ત્‍યારે ગુજરાતમાં જેડી-બીજેપીની સરકાર બની હતી.

આ વખતે ગુજરાતનાં મતદારોએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી પસંદગી કરવાની છે. છેલ્લા ૩૨ વર્ષમાં ‘આપ'ની જેમ અન્‍ય કોઇ પાર્ટીએ ગુજરાતમાં ભાજપને પડકાર્યું નથી.આ અલગ-અલગ મોડલની ટક્કર છે. ‘આપ'પોતાના દિલ્‍હી મોડેલને લાગુ કરવા માટે કટિબદ્ધ છે, તો કોંગ્રેસ રાજયમાં રાજસ્‍થાન મોડેલની નકલ કરવા માટે ઉત્‍સુક છે. બીજી બાજુ ભાજપને તેનાં ગુજરાત મોડલ પર પૂર્ણ વિશ્વાસ છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં આમ આદમી પાર્ટી આવતા હવે રાજયના સમીકરણ બદલાઇ શકે છે,રાજકીય નિષ્‍ણાત દિલીપ ગોહિલ મંતવ્‍ય વેબને જણાવતા કહે છે. હાલ કંઇ પાર્ટી જીતશે એ કહેવું અતિરેક થશે, જયાં સુધી ત્રણેય પાર્ટીના ઉમેદવારની યાદી બહાર નથી પડી જતી ત્‍યાં સુધી કહેવું મુશ્‍કેલ છે,ગુજરાતમાં પહેલા એવું હતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકશાન કરશે પરતું જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે  તેમ સમીકરણો પણ બદલાઇ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે ત્રિપાંખિયા જંગમાં કોણ જીતશે એ તો હવે આવનાર ચૂંટણીના પરિણામો જ કહેશે.

(10:23 am IST)