Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

એક સમય હતો જ્યારે કોંગ્રેસ આખા દેશમાં છવાયેલી હતી અને આખા દેશ પર શાશન કરતી હતી. જે આજે ભૂસાઈ ગઈ છે અને અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. : કોંગ્રેસના વિકલ્પ તરીકે પ્રાદેશિક પાર્ટીઓ છે : વડોદરામાં પરિવારવાદ પર સી.આર.પાટીલના કોંગ્રેસ પર પ્રહાર

કૌટુંબિક પાર્ટી પોતાના પરિવારના હિત માટે કામ કરે છે : સી. આર. પાટીલ

 

વડોદરા ખાતે 'વર્લ્ડ MSME ડે' નિમિતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે હાજરી આપી હતી. જેના હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સી. આર. પાટીલે જણાવ્યુ હતું કે, એક સમય હતો જ્યારે કોંગ્રેસ આખા દેશમાં છવાયેલી હતી અને આખા દેશ પર શાશન કરતી હતી. જે આજે ભૂસાઈ ગઈ છે અને અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.

વધુમાં સી. આર. પાટીલે ઉમેર્યું હતું કે આજે કોંગ્રેસના વિકલ્પ તરીકે પ્રાદેશિક પાર્ટીઓ છે. સમયની સાથે સાથે પ્રાદેશિક પક્ષ હવે કૌટુંબિક પક્ષ બનીને રહી ગયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિવસેના, સમાજવાદી પાર્ટી, એનસીપી બધી જ કૌટુંબિક પાર્ટી બની છે. એનસીપીમાં શરદ પવારની દીકરી આવી છે જ્યારે સમાજવાદી પાર્ટી સહિત આવી કૌટુંબિક પાર્ટી પોતાના પરિવારના હિત માટે કામ કરે છે માત્ર ભાજપ એક જ દેશ આખામાં છવાયેલી પાર્ટી છે. તેમ જણાવી સી. આર. પાટીલે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. અત્રે નોંધનિય છે કે પરિવારવાદના નામે કોંગ્રેસ પર ભાજપના પ્રહારોએ કાઇ નવી વાત નથી આ મામલે વર્ષોથી ભાજપ દ્વારા કોંગ્રેસ પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

'વર્લ્ડ MSME ડે' નિમિત્તે વડોદરા ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી મનીશા વકિલ, વડોદરાના સાંસદ તથા શહેર પ્રમુખ વિજયભાઈ શાહ અને મેયર કેયુરભાઈ સહિત બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડોદરાનાં 14 ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશને 12,000 ફેક્ટરીઓમાં અગ્નિપથ યોજના અંતર્ગત થનાર અગ્નિવીરોને નોકરીમાં 10% અનામત આપવાની જાહેરાત કરી હતી. જેના બાંહેધરી પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલ્યા હોવાથી એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

(1:24 am IST)