Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

આણંદના ઉમરેઠની નિવાન હોસ્‍પિટલના ડોક્‍ટરોની બેદરકારીઃ કોણીના ઓપરેશન દરમિયાન દર્દીનું મૃત્‍યુઃ સામાન્‍ય ઓપરેશન લાંબુ ચાલતા પરિવારજનોને શંકા ગઇ અને ઓપરેશન થિયેટરમાં હોબાળો મચાવ્‍યો

પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી પી.એમ. કરવાની માંગ કરતા મૃતદેહને કરમસદ હોસ્‍પિટલમાં લઇ જવાયો

આણંદઃ આણંદના ઉમરેઠની નિવાન હોસ્‍પિટલમાં 50 વર્ષીય આધેડનું કોણીનું ઓપરેશન કરતી વખતે તબીબોની બેદરકારીથી મોત થતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરીને પી.એમ. કરવાની માંગ સાથે હોબાળો મચાવતા મૃતદેહને કરમસદ હોસ્‍પિટલમાં પી.એમ. માટે લઇ જવાયો હતો.

ઉમરેઠની નિવાન ઓર્થોપેડિક હોસ્પિટલ એક આધેડના મોતને કારણે ચર્ચામાં આવી છે. 50 વર્ષીય આધેડનું હાથની કોણીના સામાન્ય ઓપરેશન દરમિયાન મોત થયુ હતુ. જેથી પરિવારે હોબાળો મચાવ્યો હતો. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

બન્યુ એમ હતું કે, 50 વર્ષના શખ્સનું ઉમરેઠની નિવાન હોસ્પિટલમાં ઓપરેશન કરવાનુ નક્કી થયુ હતું. હોસ્પિટલના સંચાલકોએ દર્દીને શનિવારે સાંજે 8 વાગ્યાનો સમય આપ્યો હતો. જેના બાદ ઓપરેશન શરૂ કરાયુ હતુ. ઓપરેશન સામાન્ય હતુ અને લાંબુ ચાલવાનુ ન હતું. પરંતુ રાત્રે 11 વાગ્યા સુધી પણ શખ્સનું ઓપરેશન પૂરુ ન થતા પરિવારજનોને શંકા ગઈ હતી. તેથી તેઓ ઓપરેશન થિયેટરમાં ધસી ગયા હતા. અંદર જઈને જોયુ તો આધેડ મૃત પામ્યા હતા. કોણીના સામાન્ય ઓપરેશનમાં શખ્સનું મોત થયું હતું.

ત્યારે ઉમરેઠની નિવાન ઓર્થોપેડીક હોસ્પિટલ ની બેદરકારી બદલ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મૃતકના પરિવારજનો દ્વારા પેનલ પીએમ કરાવવા માંગ કરી. જેથી ઉમરેઠ પોલીસે વધુ તપાસ આરંભી મૃત્યુદેહને પેનલ પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ નગરમાં આ અગાઉ પણ નિવાન હોસ્પિટલ વિવાદોમાં આવી હતી.

(5:13 pm IST)