Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરો- શહેરી વિકાસ સત્તામંડળોને જનસુવિધા-સુખાકારીના વિકાસ કામો માટેરૂ. પ૧૦૦ કરોડ ફાળવાશે : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ત્રીજા તબક્કા ર૦૧૮-૧૯ થી ર૩-ર૪ માં ર૦રર-ર૩ ના વર્ષ માટે આ રકમની ફાળવણીનું આયોજન

નગરો-મહાનગરોમાં આંતરમાળખાકીય વિકાસના કામો-આગવી ઓળખના કામો તથા આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો-પાણી પુરવઠા-ભૂગર્ભ ગટર યોજનાના કામો માટે આ રકમનો ઉપયોગ થશે

રાજકોટ તા.૨૭ : મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોના સુઆયોજિત સર્વગ્રાહી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ર૦રર-ર૩ના વર્ષ માટે પ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણીનું આયોજન કર્યુ છે.

     રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરેલી વિસ્તૃત ફાળવણી આયોજન દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે. 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ૧૦૦ કરોડ રૂપિયાની રાશિ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તથા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મહાનગરો, નગરો અને શહેરી વિકાસ સત્તામંડળોને આપવાની પણ અનુમતિ આપી છે. 

તદ્દઅનુસાર, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને રૂ. ૩૮૦૬ કરોડની રકમ રાજ્યના મહાનગરો, નગરો તથા સત્તામંડળોમાં વિવિધ જનહિત વિકાસ કામોના હેતુસર ઉપયોગમાં લેવા ફાળવવામાં આવશે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રૂ. ૧ર૯૪ કરોડ ફાળવવામાં આવશે.

     GMFB અને GUDMને ફાળવાનારી આ રકમમાંથી રાજ્યની મહાનગરપાલિકાઓને રૂ. ૩૩૪પ કરોડ, નગરપાલિકાઓને રૂ. ૧૬ર૮ કરોડ તથા શહેરી વિકાસ સત્તામંડળોને રૂ. ૧ર૭ કરોડની રકમ વિકાસ કામો માટે અપાશે.

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ હેતુસર, વિવિધ આંતર માળખાકીય વિકાસ કામો માટે ૮ મહાનગરપાલિકાઓને રૂ. ૧૯૧૭ કરોડ, નગર પાલિકાઓને રૂ. ૩૭૯ કરોડ અને શહેરી વિકાસ સત્તામંડળોને રૂ. ૭ર કરોડ આપવાની જોગવાઇ સુનિશ્ચિત કરી છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૫૦૦ કરોડની ફાળવણી થશે તેમાંથી ૮ મહાનગરપાલિકાઓને રૂ. ૩૦૦ કરોડ અને નગરપાલિકાઓને રૂ. ૨૦૦ કરોડ ફાળવવામાં આવશે.

એટલું જ નહિ, ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો માટે રૂ. ૩પ૦ કરોડ અને આગવી ઓળખના કામો માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. 

મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ફલાય ઓવર બનાવવા માટે રૂ. રપ૦ કરોડ ફાળવાશે.

આ ઉપરાંત ૮ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે રૂ. ર૩૮ કરોડની ફાળવણી થશે. 

મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રૂ. ૧ર૯૪ કરોડ નગરો-મહાનગરોમાં નાગરિક સુવિધા વૃદ્ધિના વિકાસ કામો માટે ઉપયોગમાં લેવા ફાળવવામાં આવશે.

આ રકમમાંથી ભૂગર્ભ ગટર, પાણી પુરવઠા, નળ થી જળ કાર્યક્રમ અન્વયે પીવાના પાણી માટેના વિતરણ કામો, નગરોમાં મુખ્યમંત્રી બસ પરિવહન સુવિધા તેમજ નગરપાલિકાઓને સંચાલન અને નિભાવણી ખર્ચ સહાય આપવામાં આવશે. 

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યના મહાનગરો અને નગરોમાં નાગરિક સુવિધા સુખાકારી કામોને વેગ આપવા ગુજરાત રાજ્યના સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ વર્ષ ર૦૦૯-૧૦ થી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મુકવામાં આવેલી છે.

આ યોજના અન્વયે ર૦૦૯ થી ર૦ર૧-રર સુધીના વર્ષોમાં રાજ્ય સરકારે કુલ ૪૪,૧૦ર કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે. 

(2:55 pm IST)