Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

મોબાઇલ ફોનમાં બિનજરૂરી એપ્લીકેશન કદી ન નાખવી, પાસવર્ડ લાંબો રાખવો

કુંડળધામ સ્વામિનારાયણ મંદિર આયોજીત ઓનલાઇન સાઇબર સિકયુરીટી સેમિનારમાં માર્ગદર્શન આપતા સાકેત મોદી

શ્રી કુંડળધામ સ્વામિનારાયણ મંદિર આયોજીત વર્ચ્યુઅલ સેમિનારમાં શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી ઉપસ્થિત રહેલ તેમજ વિષય નિષ્ણાંત શ્રી સાકેત મોદીએ ઓનલાઇન માર્ગદર્શન આપેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૨૭ : શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા કારેલીબાગ-વડોદરા દ્વારા તા.૨૪ જાન્યુઆરીના રોજ શ્રીસ્વામિનારાયણ સત્સંગ હોલ, મૂર્તિબાગ-સુરત ખાતે ખૂબ જ વિશાળ ફલક પર વર્ચ્યુઅલ સાયબર સીકયુરીટી સેમિનાર યોજાયો હતો. ૨૪ જેટલી ટી.વી.ચેનલોમાં લાઈવ પ્રસારિત થતા આ સમગ્ર કાર્યક્રમનો લાભ દેશ-વિદેશમાં વસતા હજારો લોકોએ પ્રાપ્ત કર્યો હતો. સેમિનારના પ્રેરક શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામની પાવનકારી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં અનેક સાયબર સીકયુરીટીના મુદ્દાઓની ચર્ચા થઈ હતી. આ સેમિનારના પ્રવકતા, અમેરીકાના  કેલીફોર્નિયામાં સ્થિત લ્યુસીડસ કંપનીના સંસ્થાપક અને CEO સાકેતભાઈ હતા. તેમણે ટેકનોલોજીની મહત્તા સમજાવી ને તેના ગેરફાયદાઓથી કેવી રીતે બચી શકાય  તેની સચોટ માહિતી આપી હતી. તેમજ પ્રશ્નોત્તરીના સેશનમાં સાકેત મોદી તથા તેમના સાથી મિત્ર વિદીત બક્ષીએ સાયબર ક્રાઇમ અંગે લોકોને મૂંઝવતા પ્રશ્નોના સચોટ ઉત્ત્।રો આપ્યા હતા. તેથી શ્રોતાગણમાં સાયબર સીકયુરીટી અંગે ખૂબ જ જાગૃતતા આવી હતી. આ સેમિનારમાંથી લોકોને સાયબર સીકયુરીટી અંગે ખૂબ જ ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હતી જેમ કે,  (૧)  મોબાઈલ ફોનમાં બિનજરૂરી  એપ્લિકેશનો ઇન્સ્ટોલ ન કરવી. (ર) કોઈની સાથે OTP કયારેય શેર ન કરવો. (૩) સેફ મી (Safe me)એપ્લિકેશન ઉપયોગ કરવાથી એન્ડ્રોઈડ મોબાઈલ કેવી રીતે ઉપયોગ કરવો તેની જાણકારી મળે છે. (૪) વેબ ઓફ ટ્રસ્ટ વેબસાઈટ(WOT)ની એપ્લિકેશન પરથી વેબસાઈટ સાચી છે કે ખોટી તેની માહિતી પ્રાપ્ત કરી શકાય છે. (૫) પાસવર્ડ લાંબો રાખવો જેથી કોઈ બીજા ઉપયોગ ન કરી શકે. Lastpass એપ્લિકેશન ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. (૬) શકય હોય ત્યાં સુધી પબ્લીક Wi-Fi માં Log in ન કરવું વગેરે......

આવા સેમિનાર દ્વારા લોકો સાયબર ક્રાઈમના ભોગથી બચીને ખુબ જ સુરક્ષિત રહે અને બીજાને રખાવે એવો પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીનો આશય હતો. આવનારા વર્ષોમાં સાયબર ગુન્હાઓના ભોગથી બચવા માટે આ સેમીનાર ખૂબ જ ઉપયોગી રહેશે.

આ પ્રસંગે પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીએ સત્સંગ લાભ આપ્યો હતો તેમજ સેમિનારના પ્રવકતા તથા શ્રોતાગણને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(2:54 pm IST)