News of Tuesday, 26th January 2021
ગાંધીનગર: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ટેક્નિકલ શિક્ષણનો વ્યાપ વધે અને નવા સ્ટાર્ટઅપકર્તા ટેક્નોક્રેટ્સને ઈનોવેશન માટે પ્રોત્સાહન મળી રહે તે માટે સતત કાર્યરત રહે છે. તાજેતરમાં જ GTU ઈનોવેશન સેન્ટર સુરત ખાતેના સ્ટાર્ટઅપકર્તા અભિમન્યુ અને વરદાન રાઠી નામના ઈનોવેટર્સ દ્વારા નજીવી કિંમતના રોકાણથી કાર્યરત વોટર પ્યોરીફાયર મશીન “વરદાન” બનાવ્યું છે.
GTU ઈનોવેશન કાઉન્સિલ દ્વારા આ સ્ટાર્ટઅપને અત્યાર સુધી સાડા 21 લાખ સુધીની ગ્રાંન્ટ અપાઈ ચૂકી છે. જેનાથી છેલ્લા 9 વર્ષના રીસર્ચ પછી રાઠી બંધુઓ દ્વારા દરેક જનસામાન્યને પરવડે તેવું વોટર પ્યોરીફાયર મશીન ‘ વરદાન’નું નિર્માણ કર્યું છે. જેનો મુખ્ય હેતુ, દેશના દરેક વ્યક્તિને શુદ્ધ પીવાનું પાણી મળી શકે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી (GTU) ના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે આ અંગે જણાવ્યું હતું કે, ‘વરદાન’ જેવા સ્ટાર્ટઅપ દેશના દરેક જનસામાન્ય માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મેક ઈન ઈન્ડિયા , સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના અભિયાનમાં પણ વિશેષ યોગદાન પૂરું પાડે છે.
જ્યારે GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે “વરદાન” ના નિર્માણ બદલ સ્ટાર્ટઅપકર્તાને અભિનંદન પાઠવ્યા હતાં.
વરદાન સ્ટાર્ટઅપના ફાઉન્ડર અભિમન્યું રાઠીએ આ સંદર્ભે જણાવ્યું કે, યુનાઈટેડ નેશન્સ દ્વારા 17 અલગ-અલગ સસ્ટેનેબલ ગોલ નક્કી કરવામાં આવેલા છે. જેમાંથી દરેક વ્યક્તિને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે પ્રમુખ જરૂરીયાત છે. સસ્ટેનેબલ લાઈવલીહૂડ ઈનોશિએટીવ ઈન્ડિયા ( SLII ) અંતર્ગત ગરીબ માણસને પણ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે અમે આ સ્ટાર્ટઅપનું નિર્માણ કર્યું છે.
છેલ્લા 9 વર્ષથી લો કોસ્ટ વોટર પ્યોરીફાયર મશીનના નિર્માણ માટે અનેક પ્રકારના રિસર્ચ કરીને કોઈ પણ પ્રકારના વિદ્યુત ઉપકરણની સહાય વગર કાર્યરત આરઓ મશીનનું નિર્માણ કર્યું છે. આર્થિક રીતે પરવડે તેવા ગ્રેફિનના મોલિકૂલ્સ અને ઈ-વેસ્ટ એવી મોબાઈલ સ્ક્રીનનો સોલર પેનલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. બેક્ટેરીયા અને વાયરસના નાશ માટે અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણોનો ઉપયોગ કરીને પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.
વરદાન 1 કલાકના સમયમાં 40 લીટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે છે. અન્ય આરઓમાં 1 લિટર પાણીના શુદ્ધિકરણ માટે 3 લિટર પાણીનો બગાડ થતો જોવા મળે છે. જ્યારે ‘વરદાન’માં પાણીનો બગાડ નહીવત પ્રમાણમાં છે. યુવી અને ગ્રેફિનના ઉપયોગથી હેવી મેટલ્સ અને હાનીકારક બેક્ટેરીયા , વાયરસનું શુદ્ધિકરણ મહત્તમ પ્રમાણમાં થાય છે. જ્યારે ટીડીએસના પ્રમાણમાં દરેક પ્રકારના પાણીની ટીડીએસમાંથી 10% શુદ્ધિકરણ કરે છે.
‘વરદાન’ ની ખાસ વિશેષતા એ છે કે, તે કોઈ પણ પ્રકારના મેઈન્ટનેન્સ અને વિદ્યુત ઉપકરણોની મદદ વગર 10 વર્ષ સુધી 1.50 લાખ લિટર પાણીનું શુદ્ઘિકરણ કરી શકે છે. યુનાઈટેડ નેશન્સ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (યુનિડો) દ્વારા પણ ” વરદાન’ ને ઈન્ટરનેશનલ લેવલે મદદરૂપ થવા માટે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અબુધાબી અને જર્મનીમાં પણ ‘વરદાન’ની નિકાસ આગામી સમયમાં કરવામાં આવશે.