Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

આસુરી શકિત સામે દૈવી શકિતનો વિજયએ આપણુ લક્ષ્ય : વિજયભાઇ

રાજ્યનાં સલામતી દળો-પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ જીતની જીજીવિષા સાથે આવનારા પડકારો ઝીલી આગળ વધે : વિજયાદશમીના પાવન પર્વે પરંપરાગત શસ્ત્ર પૂજન

રાજકોટ,તા.૨૬ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ  વિજયા દશમીના પાવન પર્વે  મુખ્ય મંત્રીશ્રીના સુરક્ષા સલામતિ કર્મીઓ સાથે તેમના શસ્ત્રો નું  પરંપરાગત પૂજન કર્યું  હતું.

  મુખ્ય મંત્રીએ વિજયા દશમીના પર્વને  અસત્ય પર સત્યના વિજયનું અને આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પર્વ ગણાવતા કહ્યું કે  વર્તમાન સમયમાં ઉપલબ્ધ અત્યાધુનિક શસ્ત્રોનું પૂજન કરી 'આપણું ગુજરાત સુરક્ષિત ગુજરાત' બને સલામત રહે  તેવી ભાવના દ્રઢીભૂત કરી છે.

રાજયના લોકોને સલામતી સુરક્ષા આપવા આપણે અસ્ત્ર-શસ્ત્ર અને આધુનિક સમયની ટેકનોલોજીના ઉપયોગ થી સજ્જ બની આગામી પડકારોને ઝીલવા સક્ષમ બન્યા છીએ તેમ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ અવસરે કહ્યું કે શસ્ત્રપૂજા પાછળની ભાવના અને  આપણું લક્ષ્ય સમગ્ર ગુજરાત  સુરક્ષિત બને અને આતંકવાદીઓ, ગુંડાઓ, લુખ્ખા તત્વોનો નાશ થાય તે છે.    

તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર સંદેશા વ્યવહાર, શસ્ત્રો વગેરેની અદ્યતન પ્રણાલીઓ વિકસાવી રહી છે.

વર્તમાન કેન્દ્ર સરકાર પણ રાફેલ જેવા અત્યાધુનિક શસ્ત્રોનો સેનામાં ઉમેરો કરી દેશની સ્વરક્ષણની તાકાત વધારી રહી છે. સમયની માંગ અનુસાર આધુનિક શસ્ત્રો ધારણ કરી સજ્જ રહેવું  અને યુદ્ઘના નીતિ-નિયમોનું પાલન કરવું એ આપણો ધર્મ અને પૌરાણિક-સાંસ્કૃતિક પરંપરા રહી છે.

 મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,શસ્ત્રોની પૂજા એ યાદ અપાવે છે કે શસ્ત્રોનો ઉપયોગ અત્યાચારીઓ સામે જ કરવાનો છે.  શસ્ત્રનો ઉપયોગ આપણે નિર્દોષો ઉપર કરતા નથી

વિજય ત્યારે જ થાય જયારે યુદ્ઘમાં શસ્ત્રો પાવરફૂલ હોય તથા જ્ઞાન-યુદ્ઘમાં શાસ્ત્રો પાવરફૂલ હોય. યુદ્ઘ માટે શાસ્ત્ર અને શસ્ત્ર એમ બંનેની આવશ્યકતા છે. તેમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

રાજય સરકારમાં શસ્ત્ર પૂજનની પરંપરા વિષે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલી પરંપરા આ જ આજદિન સુધી ચાલુ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ આપણા ધર્મ ગ્રંથો માં પણ શસ્ત્ર પૂજનનું મહત્વ છે તેનો ઉલ્લેખ કરતાં  કહ્યું કે, પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન સંતાડેલા શસ્ત્રો બહાર કાઢીને સૌ પ્રથમ તેનું પૂજન કરેલું. રામાયણના યુદ્ઘમાં પણ દરેક શસ્ત્રો પૂજન પછી તેના ઉપયોગ થયો હતો.

 મુખ્યમંત્રીશ્રીએ  કહ્યું કે, 'આસુરી શકિત સામે દૈવી શકિતનો વિજય'એ આપણુ લક્ષ્ય છે.

 રાજયના સલામતી દળો, આપણી પોલીસ અને આપણા સુરક્ષાકર્મીઓ આજના દિવસે શસ્ત્ર પૂજન દ્વારા વિજયની જીજીવિષા સાથે આવનારા પડકારો ઝીલીને આગળ વધે તેવા સંકલ્પની મુખ્યમંત્રીશ્રીએ પ્રેરણા આપી હતી.  તેમણે શસ્ત્રપૂજન કાર્યક્રમના આયોજન માટે મુખ્યમંત્રી સુરક્ષા દળને અભિનંદન પાઠવ્યા હતા.

આ વેળા એ મુખ્યમંત્રીશ્રીના સલામતિ પોલીસ અધિક્ષક  તેમજ  સુરક્ષા અધિકારીઓ અને કમાન્ડો ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)