Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં ગર્ભાશયની તકલીફવાળી પુત્રીને માતાનું ગર્ભાશય હોસ્‍પિટલના ડોક્‍ટરો દ્વારા ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન કરાશેઃ વિશ્વની પ્રથમ ઘટના

દર પાંચ હજાર દીકરીઓમાંથી 1ને જન્‍મજાત ગર્ભાશયની તકલીફ હોઇ શકે

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં 28 વર્ષીય પરિણીત મહિલાને તેમની માતા દ્વારા ગર્ભાશય પ્રાપ્‍ત થશે. વિશ્વની રેર ઓફ ધ રેર ઘટનામાં સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરો સરકારી યોજના પીએમજેએવાય અંતર્ગત ગર્ભાશય ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન કરશે. આવી મહિલાઓને માતા બનવાનું સુખ પ્રાપ્‍ત થશે. ગાયનેકોલોજી વિભાગના વડા ડો. વિનિત મિશ્રા અને તેમની ટીમ ખાનગી હોસ્‍પિટલના નિષ્‍ણાંત ડોક્‍ટરોની મદદથી ગર્ભાશય ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન કરશે.

રાજ્યમાં પ્રથમ અને સમગ્ર દેશની સરકારી અને અર્ધસરકારી સંસ્થામાં પ્રથમ વખત યુટેરસ (ગર્ભાશય) ટ્રાન્સપ્લાન્ટ થવા જઇ રહ્યુ છે. સમગ્ર વિશ્વમાં આ પ્રથમ ઘટના છે જેમા એક જ સંસ્થામા એક જ દિવસમાં એક સાથે બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થવા જઇ રહ્યા છે.

ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રથમ કિસ્સાની વાત કરીએ તો, 28 વર્ષીય પરણિત હિન્દુ યુવતી કે જેમને યુટેરાઇન ડાઇડેલ્ફીસ (બેવડુ ગર્ભાશય જન્મજાત) ની તકલીફ હતી, જેમને તેમની માતા દ્વારા ગર્ભાશય પ્રાપ્ત થશે. બીજા કિસ્સાની વાત કરીએ તો, 22 વર્ષીય મુસ્લિમ પરણિત યુવતી કે જેમને એમ.આર.કે.એચ. ટાઇપ 1 (જન્મજાત ગર્ભાશયની ગેરહાજરી) ની તકલીફ હતી, જેમને તેમની માતા દ્વારા ગર્ભાશય પ્રાપ્ત થશે. સરકારની યોજના PMJAY કાર્ડ અંતર્ગત ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રતિ દર્દી રૂપિયા 3 લાખ 80 હજારની સહાય આપવામાં આવેલી છે, જેથી સમગ્ર ઓપરેશન બિલકુલ મફતમાં થશે.

ઉલ્લેખનીય છે કે, દર 5 હજાર દીકરીઓમાંથી 1 ને જન્મજાત ગર્ભાશય અવિકસિત અથવા ગેરહાજર હોય છે, જેથી તેઓ માતા બનવાનુ સુખ પ્રાપ્ત કરી શકતી નથી. આવી દિકરીઓ માટે આ ગર્ભાશય ટ્રાંસ્પ્લાંટ આશિર્વાદરુપ બનશે અને માતા બનવાનુ સુખ પ્રાપ્ત કરી શકશે. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરના નિયામક અને ગાયનેકોલોજી વિભાગના વિભાગીય વડા ડો. વિનિત મિશ્રા તથા એમની સમગ્ર ટીમ તેમજ પુણે સ્થિત ખાનગી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમના સંકલનથી કરાશે.

અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે અત્યાર સુધીમાં કિડની, લીવર અને પિત્તાશયનું ટ્રાન્સપ્લાન્ટ થતુ હતુ, જેમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની પણ સુવિધા હવે ઉપલબ્ધ થઈ છે. દેશમાં યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ માટે પરવાનગી મળી હોય એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બની અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર.

IKDRC નાં ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ જણાવ્યું કે, સેરોગસીનાં નિયમોમાં કડકાઈ હોવાથી ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ સરલતાથી થઈ શકશે. કોઈપણ ઉંમરની મહિલા ગર્ભાશયનું દાન કરી શકે છે. ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટે સ્ટેટ ઓથોરાઈઝેશન કમિટી, ટ્રાન્સપ્લાન્ટ ઓફ હ્યુમન ઓર્ગન તરફથી IKDRC ને પરવાનગી આપવામાં આવી.

(6:05 pm IST)