Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

જુનાગઢના ભેંસાણના અભય રાદડિયાને દુનિયામાં ૨.૫ ટકા લોકોને થતી દુર્લભ બિમારી જાવા મળીઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ ઓપરેશન બાદ બિમારીમુક્ત

ગાંધીનગર: અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે એક 15 વર્ષના યુવાનને થયેલી દુર્લભ બિમારીની સારવાર કરીને સફળતા મેળવી છે. આ યુવક સમગ્ર દુનિયામાં માત્ર 2.5 ટકા લોકોમાં જ જોવા મળતી સ્કોલિઓસિસ નામની બિમારીનો ભોગ બન્યો હતો.

આજથી ત્રણ વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લાના ભેંસાણના રહેવાસી અભય રાદડિયાનું જીવન અન્ય બાળકોની જેમ જ ખેલકૂદ, અભ્યાસ અને રમતગમતમાં સામાન્ય રીતે વિતી રહ્યું હતું. 3 વર્ષ પહેલા 15 વર્ષની વયે અભય ખેલકૂદમાં પણ સક્રિય હતો. પરંતુ વિધાતાએ અભય માટે કોઇ અલગ જ પ્રકારની વેદનાની સ્યાહીથી લેખ લખ્યા હતાં! અભય એના પરિવાર સાથે રાજીખુશીથી જીવન વિતાવી રહ્યો હતો, પણ તેને ખબર નહોતી કે પારાવાર પીડા તેની તરફ બિલ્લીપગે એક ખંધા શિયાળની જેમ આગળ વધી રહી હતી.

અભય રાદડિયાને જન્મથી જ કમરના મણકામાં વધારે પડતો વળાંક હતો. ધીરે ધીરે આ સમસ્યા વકરવા લાગી. ખેલકૂદમાં રસ ધરાવતા અભયને હવે તો હલનચલનમાં તથા રમતગમતમાં તકલીફ થવા લાગી હતી. અભયના પરિવારે આના નિવારણ માટે ઘણી બધી ખાનગી હોસ્પિટલ તથા ઓર્થોપેડિક ડોક્ટર્સનો સંપર્ક કર્યો હતો. પરંતુ ક્યાંય સંતોષકારક સારવાર મળી ન હતી. છેવટે અભય સારવાર માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં દાખલ થયો. જ્યાં X-RAY, MRI તથા CT SCAN સહિતના ટેસ્ટ કરતાં જાણવા મળ્યું કે અભયને સ્કોલિયોસિસ નામની ગંભીર અને દુર્લભ બિમારી છે. જેમાં કમરનાં મણકાંમાં સામાન્ય કરતાં વધારે વાંકા થઇ જાય છે જેના લીધે હલનચલન પર અસર થાય છે.

અભયના કિસ્સામાં જ્યારે તે 3 વર્ષ પહેલા સારવાર માટે અમદાવાદ સિવિલમાં આવ્યો ત્યારે વય પણ એક અવરોધરૂપ પરિબળ હતું. સ્કોલિયોસિસ બિમારીના ઓપરેશન માટે દર્દીની વય પુખ્ત વય જેટલી હોવી જરૂરી છે. આ એક ટેક્નિકલ આવશ્યક્તા હતી, તેથી અભયના પરિવારે ઓપરેશન માટે 3 વર્ષ રાહ જોવી પડી હતી.

અભય 18 વર્ષનો થઈ ગયા બાદ ઓપરેશન શક્ય થયુ હતું. આખરે જેની અભયનો પરિવાર 3 વર્ષથી કાગડોળે રાહ જોતો હતો તે ઘડી આવી પહોંચી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદી અને તેમની ટીમે અભયના ઓપરેશનનો નિર્ણય કર્યો. ડો. મોદી અને તેમની ટીમે સતત ન્યૂરો મોનિટરિંગ સાથે આ જટિલ અને જોખમી ઓપરેશન અત્યંત ખંતપૂર્વક પાર પાડ્યું.

સ્કોલિયોસિસ બિમારી કેટલી દુર્લભ છે તેની ગંભીરતા વિશે સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી કહે છે કે સમગ્ર દુનિયામાં સ્કોલિયોસિસ બિમારીનું પ્રમાણ માત્ર 2.5% છે. જ્યારે ભારતમાં આ બિમારીનું પ્રમાણ 0.4% છે. સામાન્ય રીતે આ બિમારી છોકરાઓમાં વધુ જોવા મળે છે. આ બિમારીથી પીડાતા બાળકોને સામાન્ય જીવનમા અગવડતા પડતી હોય છે. જો યોગ્ય સમયે તબીબી સારવાર ના મળે તો ભવિષ્યમાં તેના ગંભીર પરિણામ આવતા હોય છે. મોટા ભાગે આ બિમારી ડોર્સલ લેવલ 60- 65 % ઉપર જોવા મળતી હોય છે. પરંતુ  લેવલ ઉપર આ બિમારીનું પ્રમાણ ઓછું એટલે કે 35-40% જેવું જોવા મળે છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જે જટિલ બિમારીની સારવારમાં અન્યત્ર રૂ. 8 થી 10 લાખનું આંધણ થાય તેમ હતું, તે જટિલ અને દુર્લભ બિમારીનું સરકારી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સંપન્ન થયું છે. અભય અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે. અભય અને તેના પરિવારે પણ ડો. જે. વી. મોદી અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. તબીબોની આ સફળતાએ જૂનાગઢના ભેંસાણ ગામના વતની એવા આ ગરીબ યુવાનના જીવનમાં સુખનો સૂર્યોદય કર્યો છે.

(5:25 pm IST)