Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ આ વર્ષે કોરોનાના કારણે રદઃ મેયર બિજલ પટેલની જાહેરાત

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ડિસેમ્બર મહિનાને અંતે યોજાતો કાંકરિયા કાર્નિવલ આ વખતે યોજાશે નહી. કોરોના મહામારી વચ્ચે કોર્પોરેશન તંત્ર દ્વારા અધિકારીક રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. મેયર બિજલ પટેલ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે, કોરોના સંક્રમણ વધ્યું છે અને રાજ્ય સરકારની ગાઇડ લાઇન અનુસાર આ તહેવાર શક્ય નથી. તેવામાં અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે આયોજીત કાંકરિયા કાર્નિવલનું આયોજન આ વર્ષે મોકુફ રાખવામાં આવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષી કોંગ્રેસ નેતા કમળાબેન ચાવડા દ્વારા માંગ કરવામાં આવી હતી કે, કોરોના મહામારી વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન ન થવું જોઇએ. આ અંગે કોર્પોરેશ દ્વારા અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવવી જોઇએ. હાલ વડાપ્રધાન અને 2008માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કાંકરિયા કાર્નિવલના વિચારને અમલવામાં મુકવામાં આવ્યો હતો. જે પરંપરા 12 વર્ષથી જળવાઇ રહી છે. આ ઉત્સવ ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતની ઓળખ બનતી જાય છે. 

પૂર્વ વડાપ્રધાન અને ભાજપના પાયાના પથ્થર સમાન મહત્વના નેતા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડીયા દરમિયાન કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં 20-25 લાખ લોકો એકત્ર થાય છે. જો કે આ વખતે કોરોના મહામારી વચ્ચે લોકો એકત્ર થાય તે શક્ય નહી હોવાનાં કારણે કાર્નિવલ રદ્દ રખાયું છે.

(5:05 pm IST)