Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

મહાનગરોમાં કોરોના સુપર સ્પ્રેડર બનેલા પાનના ગલ્લા-ચા કીટલીઓ થશે બંધ ?

અમદાવાદ,તા.૨૫: ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે પહેલા સુપ્રીમ કોર્ટ અને પછી વડાપ્રધાન સાથેની બેઠકમાં કોરોનાના વધતા કેસો અંગેની ગંભીર નોંધ લઇને સરકાર દ્વારા કડક અને ચોક્કસ ગાઇડલાઇન સાથે પગલા ભરવા તથા નિર્ણયો કરવાની સૂચના તેમજ ઠપકો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આગામી દિવસોમાં ગુજરાતના ચાર મોટા શહેરોમાં ભીડભાડવાળા ધંધા રોજગાર બંધ કરાવવામાં આવી શકે છે. ખાસ કરીને ચાના અને પાનના ગલ્લાઓ બંધ કરાવી દેવાના હુકમો થઇ શકે છે. આ ઉપરાંત ગુજરાતની સરહદો પણ સીલ કરીને ખાસ કિસ્સામાં પણ ટેસ્ટ વિના પ્રવેશ નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના કેસમાં અચાનક જ વધારો થઇ જતા સુપ્રીમ કોર્ટે સરકારની નીતિની ઝાટકણી કાઢવામાં આવી હતી. જેના પગલે સરકાર દ્વારા લગ્ન પ્રસંગોમાં ૨૦૦ના છુટછાટને પરત ખેંચીને ફરી એકવાર ૧૦૦ કરી દેવામાં આવી હતી. બીજી તરફ કોરોના સંક્રમણને ડામવા માટે તમામ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યા છે. આ રાત્રી કર્ફ્યૂમાં કોઇ પ્રકારની છુટછાટ નહી આપવા માટે સરકાર પ્રતિબદ્ઘ છે.

(9:58 am IST)