Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

SOU- એકતાનગર ખાતે આજથી બે દિવસીય યોજાયેલી દેશની પ્રથમ યુવા બાબતો અને રમત-ગમતની ‘રાષ્ટ્રીય પરિષદ’નો શુભારંભ

રમતગમત એટલે દેશભક્તિ જાગૃત્ત કરવાનું ઉત્તમ માધ્યમ -કેન્દ્રીય રમત-ગમત અને યુવા સેવાઓ વિભાગના મંત્રી અનુરાગ ઠાકુર:ટીમ સ્પીરીટ અને દેશભાવનાનો સુભગ સમન્વય એટલે રમત-ગમત -યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી હર્ષ સંઘવી:કેન્દ્રીય રમત-ગમત મંત્રીશ્રી અનુરાગ ઠાકુર સહિત રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેતા દેશના વિવિધ રાજ્યોના ખેલ મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ

અમદાવાદ :સ્ટેચ્યુ ઑફ યુનિટી-એકતાનગર ટેન્ટ સીટી ખાતે આજથી બે દિવસીય યોજાયેલી યુવા બાબતો અને રમતગમતના વિષય પર દેશની સૌ પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’નો પ્રારંભ કેન્દ્રીય રમતગમત અને યુવા સેવાઓ વિભાગના મંત્રી અનુરાગ ઠાકુર અને રાજયમંત્રી નિશિથ પ્રમાણિકની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. દેશના વિવિધ રાજ્યોના ખેલ મંત્રીશ્રીઓ, સચિવઓ અને ઉચ્ચ અધિકારીઓ આ રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લઈ રહ્યાં છે. બે દિવસીય ચાલનારી આ પરિષદમાં સ્પોર્ટ્સ અને યુવા બાબતોને લગતા અલગ-અલગ વિષયો પર વક્તવ્યો અને પ્રેઝન્ટેશન્સ રજુ થનાર છે.                 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત ઉપસ્થિત અન્ય મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ માં આ રાષ્ટ્રીય પરિષદમાં દિપ પ્રાગ્ટ્ય દ્વારા ખુલ્લી મૂક્યા બાદ અધ્યક્ષસ્થાનેથી સંબોધતા મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, રમત ગમત એટલે દેશભક્તિ જાગૃત્ત કરવાનું ઉત્તમ માધ્યમ છે, દુનિયાના સૌથી યુવા રાષ્ટ્ર હોવાના નાતે આપણા સૌની સહિયારી જવાબદારી બને છે કે, આપણા કાર્યક્રમો થકી યુવાનોની રાષ્ટ્ર નિર્માણમાં સહભાગીતા વધારવી જોઇએ.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે,  યુવા અને ખેલની તાકાત એ છે કે તેઓ સરહદની બહાર પણ મેડલ જીતીને ભારતનો ધ્વજ લહેરાવીને આવે છે.
SOU - એકતાનગરમાં યુવા બાબતો અને રમતગમતના વિષય પર દેશની સૌ પ્રથમ આ રાષ્ટ્રીય પરિષદના આયોજનનો આશય એ છે કે, “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની પરિકલ્પના કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ હતા અને રમતમાં એકતા જ સૌથી મહત્વની બાબત હોય છે અને ત્યાં જાતિ અને ધર્મને કોઇ સ્થાન નથી હોતુ. આ બે દિવસીય પરિષદમાં ટીમ ઇન્ડીયા સ્વરૂપે ચિંતન થાય અને રમત ક્ષેત્રે દુનિયામાં ભારતને ઉચ્ચ સ્થાન મળે તે માટે સહિયારા પ્રયત્નો કરવા મંત્રીએ આહવાન કર્યુ હતુ.મંત્રીએ આ યુવા બાબતો અને રમત-ગમતના વિષય પર દેશની સૌ પ્રથમ રાષ્ટ્રીય પરિષદ થકી રમત અને યુવા ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટેનો રોડમેપ-ચર્ચાઓ થકી તૈયાર થશે તેવો વિશ્વાસ તેઓશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી હર્ષ સંઘવીએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની  સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા-એકતા નગરીમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે, દેશમાં સૌ પ્રથમવાર યુવા બાબતો અને રમતગમતના વિષય પર અને તે પણ એકતા અને અખંડિતતાની ભૂમિ SOU-એકતાનગર ખાતે રાષ્ટ્રીય પરિષદ યોજાઇ રહી છે, જે આપણા સૌ માટે ગર્વની બાબત છે. 
મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, જુદા જુદા  રાજ્યોમાંથી અહીં ભાગ લઈ રહેલા પ્રતિનિધિઓની રાજકીય વિચારધારા તેમજ જે તે રાજ્યની સાંસ્કૃતિક અને ભોગોલિક પરિસ્થિતિને અનુલક્ષીને ભલે આપણી નીતિ-રીતિ જુદી હોઈ શકે,પરંતુ ખેલકૂદ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ટીમ સ્પિરિટ અને દેશ ભક્તિની ભાવના જાગૃત થતી હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા રાજ્યની પરંપરાગત રમતોને પ્રોત્સાહિત કરવી તે આપણી  નૈતિક જવાબદારી છે, પરંતુ આજે આપણે ટીમ ઇન્ડિયા તરીકે આવનારી ઓલિમ્પિક  રમતોમાં ભારત વિશ્વના અન્ય દેશોની સાથે સર્વશ્રેઠ મુકાબલો કરી શકે તેવા ઉદેશથી આ પરિષદનું આયોજન કરાયું છે, ત્યારે તેના માધ્યમથી તમામ રાજ્યોને એકબીજામાંથી નવી બાબતો શીખીને પ્રેરણા લેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે.
આ રાષ્ટ્રીય પરિષદમાં રમત-ગમત વિભાગના સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદી અને કેન્દ્રીય યુવા બાબતોના સચિવ સંજીવકુમાર, ગુજરાતના રમત-ગમત અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર સહિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારી ઉપરાંત વિવિધ રાજ્યોના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓ વિભાગના સચિવઓ, કમિશ્નર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

 

(6:43 pm IST)