Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સિંહ જોવા ગીર અભ્‍યારણ્‍ય જવાની જરૂર નહીં પડે : એ સમય દૂર નથી જ્‍યારે એશિયાઇ સિંહોનું નવું સરનામું અમદાવાદ હશે !

આગામી ૨૫ વર્ષમાં ગુજરાતમાં સિંહની વસતી વધીને ૨૬૦૦ થઇ જશે : સિંહની વધતી જતી વસતીને ધ્‍યાનમાં રાખીને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે : ૨૫ વર્ષમાં સિંહ અમદાવાદ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વસવાટ કરશે

અમદાવાદ તા. ૨૫ : આગામી ૨૫ વર્ષમાં અમદાવાદીઓએ એશિયાઈ સિંહ જોવા માટે ગીર અભયારણ્‍ય જવાની જરૂર નહીં પડે. જંગલના રાજા તરીકે ઓળખાતા સિંહની વધતી જતી સંખ્‍યાને ધ્‍યાનમાં રાખીને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં અમદાવાદીઓ સોશિયલ મીડિયા પર તેમની સાથે સેલ્‍ફી શેર કરતા થઈ જશે અને સાથે કદાચ હેશટેગ પણ આપે કે #KingOfJungleVisitingUs. તમને જણાવી દઈએ કે, માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ગીરના સિંહનું નવું સરનામું અમદાવાદ, જામનગર અને દેવભૂમિ દ્વારકા હોઈ શકે છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આગામી ૨૫ વર્ષમાં ગુજરાતમાં સિંહની વસતી વધીને ૨૬૦૦ થઈ જશે. જો વાર્ષિક વૃદ્ધિ દર ૫ ટકા રહેશે તો આ આંકડો પાર થઈ જશે. મંત્રાલય દ્વારા આ બાબતના સંબંધિત અધિકારીઓને કહેવામાં આવ્‍યું છે કે પ્રોજેક્‍ટ લાયન માટે આ અનુમાનને પણ ધ્‍યાનમાં લેવામાં આવે અને ૨૫ વર્ષના સમયગાળાને ધ્‍યાનમાં રાખીને જરૂરી સુધારા વધારા કરવામાં આવે. સૂત્રોનું કહેવું છે કે, જો ગુજરાતમાં સિંહોની વસતી વાર્ષિક ૩ ટકાના દરે વધશે તો પણ ૨૫૦૦ સુધી પહોંચી શકે છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા ઉમેરે છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ પ્રોજેક્‍ટ લાયનના સંદર્ભમાં ભુપેન્‍દ્ર યાદવ(કેન્‍દ્રીય મંત્રી, જંગલ, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન વિભાગ), જગદિશ પંચાલ (રાજય મંત્રી) તેમજ અન્‍ય અધિકારીઓએ ગિરમાં એક મીટિંગ રાખી હતી, જેમાં આ અનુમાન વિશે ચર્ચા કરી હતી. જગદિશ પંચાલ જણાવે છે કે, મીટિંગ દરમિયાન પ્રસ્‍તાવ મૂકવામાં આવ્‍યો કે આગામી ૨૫ વર્ષમાં સિંહોના નવા આવાસની શક્‍યતાઓ અને તેમની વધતી વસતીને ધ્‍યાનમાં રાખીને પ્રોજેક્‍ટની રચના કરવામાં આવે. આ સિવાય કેન્‍દ્રીય મંત્રીએ સિંહોને સંરક્ષણ માટે સ્‍થાનિકો દ્વારા કરવામાં આવતા પ્રયત્‍નોના વખાણ પણ કર્યા હતા.

ભાવનગરમાં ઉમઠ વીરડી, ગિર, ગિરનાર, મિટિયાલા, હિંગોલગઢ, રાજુલાથી જાફરાબાદ સુધીના દરિયાકિનારાનો પટ્ટો તેમજ મહુવા સુધી સિંહો માટે સેટેલાઈટ્‍સ હેબિટટ્‍સની પ્રસ્‍તાવના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે તેમજ તેઓ લુપ્ત ન થાય તે માટે પ્રોજેક્‍ટ લાયનની શરુઆત કરવામાં આવી છે. National Tiger Conservation Authority દ્વારા આ પ્રોજેક્‍ટ લાયનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

(12:00 pm IST)