Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

આણંદમાં લગ્નના કારણે મનદુઃખ થતા યુવકનું અપહરણઃ મકાનમાં ગોંધી રાખીને માર માર્યોઃ આત્મવિલોપનની ચિમકી આપતા પોલીસે ફરિયાદ લીધી

આણંદઃ આણંદના સામરખા ચોકડીઅેથી દિકરીના લગ્‍નને લઇને મનદુઃખ થતા સસરા પક્ષના સભ્‍યોઅે યુવકનું અપહરણ કરીને તેને અેક મકાનમાં ગોંધી રાખી માર મારતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવમાં આત્મવિલોપનની ધમકી આપ્યા બાદ પોલીસે ફરિયાદ લેતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાલેજ રોડ ઉપર આવેલી કોહીનુર સોસાયટીના પરંતુ હાલમાં સામરખા પ્રજાપતિવાસમાં રહેતા ગફુરભાઈ દાઉદભાઈ વોરાની પત્ની હફીજાબેન આઠેક વર્ષ પહેલાં ગુજરી ગઈ હતી ત્યારથી તેમની પુત્રી હિનાબેન તથા પુત્ર અકીલ મોસાળ પક્ષના સભ્યો લઈ ગયા હતા અને તેમને ત્યાં રહેતા હતા. પત્નીના અવસાન સંદર્ભે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતાં ગફુરભાઈ ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા હતા. દરમ્યાન ગફુરભાઈની સાસરી પક્ષના સભ્યો દ્વારા તેમની પુત્રી હિનાબેનના લગ્ન તેમને પુછ્યા વગર નક્કી કરી દીધા હતા. જેની જાણ તેમને થતાં મનદુ: થયું હતુ. જેની રીસ રાખીને ગત ૧૦મી તારીખના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે તેઓ સામરખા ચોકડીથી ગામ તરફ જવા રસ્તા ઉપર ઉભા હતા ત્યારે એક ફોર વ્હીલરમાં મામા સસરા મુનાફભાઈ ગનીભાઈ વોરા, માસાજીનો દિકરો ચિરાગભાઈ સીરાજભાઈ વોરા, ઈકબાલભાઈ અબ્દુલભાઈ વોરા, ઐયુબભાઈ કરીમભાઈ વોરા તથા અબ્બાસભાઈ કરીમભાઈ વોરા આવી ચઢ્યા હતા અને કારમાં જબરજસ્તીથી અપહરણ કરીને ભાલેજ રોડ પર આવેલી રોઝીના સોસાયટીમાં રહેતા ઈકબાલભાઈના ઘરે લઈ ગયા હતા જ્યાં ધોલધાપટ કરીને માર માર્યો હતો અને દિકરીના લગ્ન બાદ બહાર કાઢવાનો છે તેમ જણાવીને ગોંધી રાખ્યો હતો. બીજા દિવસે તેને મુક્ત કરતાં તે બહાર નીકળ્યો હતો. દરમ્યાન સાસરી પક્ષના સભ્યો દ્વારા તેને હેરાનગતિ કરતાં તેણે ૧૯મી તારીખના રોજ એક અરજી કરીને ૨૮મી તારીખના રોજ આં સંદર્ભે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

જેની જાણ શહેર પોલીસને થતાં પોલીસ તેને પકડી લાવી હતી અને ઉક્ત હકિકત કહેતા પોલીસે તેની ફરિયાદ લઈને ગુનો દાખલ કરી તપાસ હાથ ઘરી છે.

(6:01 pm IST)