Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પ્રજાસત્તાક પર્વમાં એલર્ટ હોવાથી કચ્છ સરહદે રિઝર્વ ફોર્સ તૈનાત : એસ.જી.મલિક

ઘુસણખોરી અટકાવવા હરામીનાળા એન્ટ્રી પોઇન્ટ ઉપર ટાવરો ઉભા કરી દેવાયા : અત્યાર સુધીમાં ઘુસણખોરી કરતા ૨૯ જણા ઝડપાયા : માહિતી આપતા બીએસએફના ગુજરાત આઇ.જી.

ગાંધીનગર તા. ૨૫ : બોર્ડર સિકયોરિટી ફોર્સ, ગુજરાતના આઈ.જી. એસ.જી.મલિકે જણાવ્યું છે કે, પહેલાં હરામીનાળાથી ઘૂસણખોરી થતી હતી. તે અટકાવવા માટે એન્ટ્રી પોઇન્ટ ૧૧૬૪, ૧૧૬૬ અને ૧૧૬૯ પર ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે. પરિણામે છેલ્લાં દસ વર્ષમાં હરામીનાળાથી કોઈ ઘૂસણખોરી થઈ નથી.

તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, બોર્ડર સિકયોરિટી ફોર્સ (BSF) ભારત- પાકિસ્તાન અને ભારત- બાંગ્લાદેશની ૬૫૦૦ કિલોમીટર સરહદની સુરક્ષા કરે છે. તે જ રીતે રાજસ્થાનના બાડમેર, ગુજરાત સરહદ અને કોસ્ટલ એરિયા મળીને ગુજરાત ફ્રન્ટીયર ૮૨૬ કિલોમીટર સરહદની પણ રખેવાળી કરે છે.

બીએસ.એફ., ગુજરાત ફ્રન્ટીયરના આઈ. જી. જી.એસ. મલિકે બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરે મેળવેલી સફળતાની વિગતો જણાવતાં ઉમેર્યું હતું કે, અમે ૨૯ જણાને ઘૂસણખોરી કરતા પકડ્યા હતા.તેમાં ૩ પાકિસ્તાની, બે બાંગ્લાદેશીઓ અને બાકીના ૨૪ ભારતીયોનો સમાવેશ થાય છે. ઝડપાયેલા ૩ પાકિસ્તાનીઓને પાકિસ્તાનના હવાલે કર્યા હતા. જયારે ભારતીયોમાં બે પંજાબના સ્મગલરને ડ્રગ્સની ડિલેવરી લેવા જતા જ ઝડપી લેવામાં આવ્યા હતા. બીજા ભારતની ફ્રેન્સીગ ઓળગવા જતાં પકડાયા હતા. તેમને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, બીએસએફ તથા અન્ય એજન્સીઓએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ચરસના ૧૪૨૮ પેકેટ જપ્ત કર્યા હતા.

કોવિડ મેનેજમેન્ટ અંગે બીએસ.એફ., ગુજરાત ફ્રન્ટીયરના આઈ. જી. જી.એસ. મલિકે જણાવ્યું કે, બીએસએફના ૧૦૦ ટકા સ્ટાફે કોરોનાના બન્ને ડોઝ લઈ લીધા છે. ૨૮ ટકા લોકોએ સરકાર દ્વારા શરૂ કરાયેલ ત્રીજો ડોઝ પણ લઈ લીધો છે. ટૂંક સમયમાં બધા ત્રીજો ડોઝ પણ લઈ લેશે.

તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દીને દેશભરમાં એલર્ટ હોવાથી બીએસએફની રિઝર્વ ફોર્સ સહિતની તમામ કંપનીઓને સરહદ પર તૈનાત કરી દેવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે દરેક ક્ષેત્રની જેમ મહિલાઓ બીએસએફની દરેક કેડરમાં પણ છે. હાલ ગુજરાત ફ્રન્ટીયરમાં ૨૦૦ મહિલાઓ છે. તેમના માટેનું ઈન્ફ્રાસ્ટ્રકચર પણ ઉભું કરવામાં આવી રહ્યું છે.

(10:50 am IST)