Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

પાટણમાં સગાઇ તોડી નાખતા પિતા-પુત્રને આંતરીને મારમાર્યોઃ ખૂનની ધમકી

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા. ર૪ : શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલી શાકુંતલ સોસાયટીના બ્લોક નંબર ૭૦ માં રહેતા અને હિંગનો ગૃહ ઉદ્યોગ ચલાવતા પ્રજ્ઞેશકુમાર ચંદુલાલ રાવલના મોટા પુત્ર પાર્થની સગાઇ શહેરના પદ્યમનામ ચાર રસ્તા નજીક આવેલ વેદ ટાઉનશીપમાં ભાડે રહેતા મુળ ચાણસ્મા તાલુકાના મેરવડા ગામના વતની જય-પ્રકાશ જયંતીભાઇ વ્યાસની પુત્રી સાથે કરવામાં આવી હતી પરંતુ સગાઇનાં ટુંક સમયમાં એક બીજા પરિવારને મનમેળ ન જામતા સગાઇ તોડી નાખવામાં આવી હતી.

ત્યારે રવીવારનાં રોજ સગાઇ તોડી નાખવાની અદાવત રાખીને જયપ્રકાશ વ્યાસ અને તેનાં પુત્ર આદીરાજ સહિત અજય નામનાં વ્યકિત દ્વારા પ્રજ્ઞેશભાઇ નાના પુત્ર શિવને સુદામા ચોકડી પાસ ેઆવેલ પટેલ પાર્લર નજીક આંતરી મારઝુડ કરતા શિવ દ્વારા આ બાબતે તેના પિતાને મોબાઇલ ફોન કરી જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જયપ્રકાશ વ્યાસ અને તેનાં પુત્ર આદીરાજ સહિત અન્ય ઇસમને મારઝૂડ બાબતે પુછતા ઉશ્કેરાયેલા જયપ્રકાશ વ્યાસ અને તેનાં પુત્ર સહિતનાં ઇસમે તેઓની સાથે પણ મારઝૂડ કરી પાર્લર નજીક પડેલી લોખંડની ખુરશી જયપ્રકાશ દ્વારા પ્રજ્ઞેશભાઇ રાવલના માથાના ભાગે મારતા તેઓ લોહીલુહાણ થયા હતા.

જયપ્રકાશ વ્યાસે પ્રજ્ઞેશભાઇ રાવલને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગભરાયેલા પ્રજ્ઞેશભાઇ અને તેમના પુત્રએ પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ પાટણ એ ડિવીઝન પોલીસ મથકે જયપ્રકાશ વ્યાસ અને તેના પુત્ર આદિ રાજ વ્યાસ તેમજ અજય નામના વ્યકિત સામે કાયદેસરની ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩ર૩, ર૯૪, પ૦૬ (ર), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(3:35 pm IST)