Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ગુજરાતમાં કોરોના ટેસ્ટ ક્ષમતા ૩ ગણી વધારાઇ : વિજયભાઇ રૂપાણી

નરેન્દ્રભાઇ મોદી દ્વારા કોરોના મેનેજમેન્ટ અંગે ગુજરાત સહિત ૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ : અમિતભાઇ શાહની ઉપસ્થિતિ : ગુજરાતમાં કોરોનાની સારવાર, સંક્રમણ અટકાવવા લીધેલા પગલાઓ અને આયોજનની વિગતો રજૂ કરી : રાજયમાં કુલ પપ હજાર આઇસોલેશન બેડના ૮ર ટકા એટલે કે ૪પ હજાર બેડ હજુ પણ ખાલી : ૧૦૪ હેલ્પલાઇન સેવાનો ર.૭૮ લાખથી વધુ લોકોએ લાભ મેળવ્યો : ૧૭૦૦ ધનવંતરી રથ દ્વારા ડોર સ્ટેપ ઓ.પી.ડી સેવાઓ ઘર આંગણે મળતી થઇ છે : દેશભરમાં ગુજરાતની પહેલરૂપ સંજીવની કોરોના ઘર સેવા અન્વયે અમદાવાદમાં ૭૦૦ સંજીવની રથ દ્વારા ત્રણ હજાર કોલ્સ એટેન્ડ કરાયા : અમદાવાદમાં ૧રપ થી વધુ કિયોસ્ક અને ૭૪ અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ પ્રક્રિયા જારી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા થયેલી કામગીરી અંગે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા-વિચારણા કરી હતી.

 

રાજકોટ તા. ૨૪ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજયો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધાની સુજ્જતાનો જાયજો લઇ માર્ગદર્શન આપવા દેશના ૮ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજય સરકારની આરોગ્ય સુવિધા-સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી પ્રધાનમંત્રીશ્રીને આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે.

રાજયમાં કોઇ જ સંક્રમિત વ્યકિતને સારવાર માટે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકારે કરી છે.

સમગ્ર રાજયમાં અંદાજે પપ હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. આ બેડમાંથી ૮ર ટકા એટલે કે ૪પ હજાર જેટલા બેડ હજુ પણ ખાલી એટલે કે સંક્રમિતો માટે સરળતાએ ઉપલબ્ધ છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોના સંક્રમિત દરદીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં વિલંબ ન થાય અને ત્વરિત દાખલ કરાવી સારવાર શરૂ થઇ શકે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ વધુ પ્રભાવી બનાવી છે.

એટલું જ નહિ, સંક્રમિત દરદીના હોસ્પિટલ પહોચતાં પૂર્વે જ તેના માટે બેડ, તબીબો અને આરોગ્ય સેવાઓ તૈનાત રખાય છે જેથી સારવારમાં કોઇ વિલંબ ન થાય.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે ૧૦૪ ફિવર હેલ્પલાઇનનો જે પ્રયોગ સફળતાપૂર્વક અપનાવ્યો છે તેની વિગતો પણ આ વિડીયો કોન્ફરન્સમાં આપી હતી.

તેમણે કહ્યું કે, આ સેવા અંતર્ગત લોકોને ઘરે બેઠા જ કોવિડ અંગે પરામર્શ તેમજ આરોગ્ય સેવા મળી રહે છે. રાજયમાં અત્યાર સુધીમાં ર.૭૮ લાખ લોકોએ આ ૧૦૪ હેલ્પલાઇનનો લાભ મેળવેલો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ માટે ટીમોની સંખ્યા વધારી દેવા સાથોસાથ કોવિડથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ધનવંતરી રથની સંખ્યા પણ ૧૧૦૦થી વધારીને ૧૭૦૦ કરી છે તેની વિગતો પ્રધાનમંત્રીશ્રી સમક્ષ આપી હતી.

તેમણે કહ્યું કે આ ધનવંતરી રથ ડોર સ્ટેપ – ઘર આંગણે ઓ.પી.ડી. સેવા ઉપલબ્ધ કરાવે છે. શરદી, ખાંસી, તાવ, બી.પી અને ડાયાબિટીસના દરદીઓને આ રથ મારફતે સારવાર સેવા આપવામાં આવે છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગઇકાલ સોમવારે એક જ દિવસમાં ૧ લાખ બાવન હજાર લોકોએ આ ધનવંતરી રથ સેવાનો લાભ મેળવ્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ટેસ્ટિંગ પ્રક્રિયાને પણ વધુ સઘન બનાવવાની વિગતો આપતાં જણાવ્યું કે, RCPTR અને એન્ટિજન્ટ ટેસ્ટિંગનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સોમવાર તા.ર૩ નવેમ્બરના એક જ દિવસમાં રાજયમાં ૭૦ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાનગરમાં કોરોના રોગગ્રસ્તો માટે હોમ આઇસોલેશનની વ્યવસ્થા અન્વયે 'સંજીવની કોરોના ઘર સેવા'ની શરૂઆત કરી છે તેની ભૂમિકા આપી હતી.

આવા ૭૦૦ જેટલા સંજીવની રથ દ્વારા દરરોજ અંદાજે ૩ હજાર કોલ્સ પર યોગ્ય કાર્યવાહી થાય છે એમ તેમણે કહ્યું હતું.

આ સેવા દેશભરમાં એક એવી વિશેષ સેવા છે જેમાં ડોકટર્સ અને પેરામેડીકલ સ્ટાફ હોમ આઇસોલેશનમાં રહેલા સંક્રમિતોની નિયમીત રૂપે સાર-સંભાળ લે છે. આના પરિણામે સંક્રમિતોને ઘરે જ રહીને સારવાર મળે છે. એટલું જ નહિ, ગંભીર સ્થિતી વાળા દરદીઓ માટે હોસ્પિટલોમાં બેડ પણ સરળતાથી મળી રહે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું કે, અમદાવાદ મહાનગરમાં સવાસો થી વધુ કિયોસ્ક અને ૭૪ અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના અંગેના ટેસ્ટ સતત કરવામાં આવે છે. હાઇ વે, રેલ્વે સ્ટેશન, મોટા કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પણ મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.

અમદાવાદમાં અત્યાર સુધી ૧૧ લાખ જેટલા ટેસ્ટ આ બધા જ માધ્યમોના ઉપયોગથી કરવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં વરિષ્ઠ નાગરિકો-વયસ્કોને કોવિડ સંક્રમણથી સુરક્ષિત રાખવા અને બહેતર ઇલાજ માટે વડીલ સુખાકારી સેવાના અભિનવ પ્રયોગની વિગતોથી પણ પ્રધાનમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

તેમણે ઉમેર્યુ કે, આ સેવા અન્વયે વરિષ્ઠ વડિલોની નિયમીત તપાસ કરીને જરૂરી દવાઓ આપવામાં આવે છે. ૧૮ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ આનો લાભ પણ મેળવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજય સરકારે કોરોના કેસોમાં અચાનક થયેલા વધારા સામે સતર્કતા રાખીને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મહાનગરમાં રાત્રિ કર્ફયુનો અમલ શરૂ કર્યો છે તેની પણ જાણકારી આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રીને વિશ્વાસ આપ્યો કે, વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજ્જ છે.

પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં જે રીતે પહેલાં કોરોના પર નિયંત્રણ મેળવ્યું છે તેમ હવે આ તબક્કામાં પણ કોરોના સંક્રમણના વ્યાપ પર નિયંત્રણ મેળવવામાં સફળ થઇશું એવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, સચિવો જોડાયા હતા.

(2:41 pm IST)