Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ભરૂચમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા ભરૂચ તાલુકા કોંગ્રેસમાં ગાબડા પડયા

ર૦૦ થી વધુ કોંગી આગેવાનોએ પંજાથી પીછે છોડાવી કેસરીયા કર્યા

ભરૂચ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી  પહેલા ભરૂચ તાલુકા કોંગ્રેસ વિખેરાઈ છે. ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ની સંગઠનની આજે બેઠક મળી. આ બેઠકમાં શિવસેનાના પ્રમુખ તેમજ કોંગ્રેસ પક્ષમાંથી તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પોતાના ટેકેદારો અને હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. આજે વિવિધ યુવા સંગઠનો અને રાજકીય પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો. કોંગ્રેસ  ના કુલ 200 થી વધુ આગેવાનો અને કાર્યકરોને ભાજપાનો ખેસ પહેરાવાયો છે.

ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૌશિક પટેલ, ભોલાવ પંચાયતના પૂર્વ સરપંચ દિગ્વિજયસિંહ રાજ, જયદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના માજી સભ્ય સરોજ ચૌહાણ, યૂથ કોંગ્રેસ) ના પૂર્વ ઉપપ્રમુખ યોગેન્દ્ર તડવી, અંકલેશ્વર પાલિકાના વૉર્ડ નંબર 5 ના પૂર્વ નગરસેવકો, શિવસેનાના પ્રમુખ વિરલ ગોહિલ સહિત મોટી સંખ્યામાં શિવસેનાના યુવાનો, ભોલાવ, ઝાડેશ્વરમાંથી કોંગ્રેસ પક્ષમાંથી 8 હોદ્દેદારો તેમજ 200 થી કાર્યકર્તાઓ, હલદરવાના સરપંચ અને સભ્યો, ચવાજ ગામના આગેવાનો, અંકલેશ્વરના કોંગ્રેસ નગરસેવકોએ પણ પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લીધો છે. ત્યારે ભરૂચ ભાજપના પ્રમુખ મારુતિસિંહે આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ તમામ બેઠકો પર ભાજપ (BJP) નો ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લાના ચૂંટણી પ્રભારી પ્રફુલભાઈ પાંસેરિયા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી રમેશ મિસ્ત્રી, નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસંગ ગોહિલ, દિવ્યેશ પટેલ, માજી ધારાસભ્ય કિરણ મકવાણાએ હાજરી આપી હતી.

(3:20 pm IST)