Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા કોરોના વોરિયર્સ માટે 10 હજાર સંશમની વટીનું વિતરણ

અમદાવાદઃ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા લોકોના સ્વાસ્થયની દરકાર કરીને પ્રોજેક્ટ અમૃતા શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી સંશમની વટી આયુર્વેદિક ગોળીનું વિતરણ ઠેર ઠેર હાથ ધરવામાં આવ્યુ હતુ.

સમગ્ર ગુજરાતમાં 20 હજારથી પણ વધારે લોકોને સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યુ છે. એકલા અમદાવાદ શહેર અને જિલ્લામાં જ 10 હજારથી વધુ સંશમની વટીનું વિતરણ હાથ ધરવામાં આવ્યુ હતુ.

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા શહેરમાં વિતરણ

અમદાવાદ શહેરમાં આવેલી અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, રેલવે યાર્ડ, વિવિધ બેંક, ટ્રાફિક વિભાગ , પ્રાણી સંગ્રહાલય, ફોરેન્સિક સાયન્સ લેબ, સરકારી ઓફિસો, હાઇ કોર્ટ, ફાયર બ્રિગેડ સ્ટેશન, એસ.વી.પી. અને સીવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીની લડતના ફ્રંટલાઇન વોરિયર્સની રોગપ્રતિકારક શક્તિ વધારવા હેતુ 120 દિવસમાં 10 હજાર સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યુ છે.

સંશમની વટીના વિતરણ બાદ અખંડઆનંદ કોલેજના પી.જી. સ્કોલર્સ દ્વારા સતત દર્દીઓનું ફોલોઅપ લેવામાં આવતુ હતુ. દર 14માં અને 28માં દિવસે તેમનું ફોલોઅપ લઇ કોલેજ દ્વારા બનાવવામાં આવેલી અમૃતા એપમાં ડેટા ડિજીટલી સ્ટોર કરવામાં આવતો હતો. આ સંશમની વટીનો 28 દિવસનો કોર્સ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક ફ્રંટલાઇન વોરિયર્સે કોર્સ પૂર્ણ થઇ ગયા બાદ પણ આ દવા લેવા માટે આગ્રહ કર્યો હતો.

ગળોમાંથી બંને છે સંશમની વટી

અત્રે ઉલ્લેખનીય છે કે ગળોમાંથી બનતી સંશમની વટી શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ અસરકારક છે. આયુષ મંત્રાલય દ્વારા પણ સંશમની વટીને આયુર્વેદ દિવસના રોજ રાષ્ટ્રીય ઔષધ તરીકે જાહેર કરવાની સંભાવનાઓ રહેલી છે.

અમદાવાદ રેલવે વિભાગના મદદનીશ ડિવિઝનલ એન્જીનીયર પવન કુમાર કહે છે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન અમારો સમગ્ર સ્ટાફ હાઇરિસ્ક વચ્ચે કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન અમને આયુષ મંત્રાલય દ્વારા કાર્યરત પ્રોજેક્ટ અમૃતા વિષે જાણ થતા અમે અખંડાનંદ આયુર્વેદિક કોલેજનો સંપર્ક કર્યો હતો.

કોલેજ દ્વારા અમારા યાર્ડમાં સંશમની વટી વિતરણ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંશમની વટીના 28 દિવસના કોર્સના કારણે જ અમારો 500થી વધારેનો સ્ટાફ કોરોનાના સંક્રમણથી બચી શક્યો છે. પવનકુમારે ફરી વખત આયુર્વેદિક કોલેજને સંશમની વટી અને આરોગ્યવર્ધક ઉકાળા વિતરણના કેમ્પ કરવા માટે આગ્રહ કર્યો છે. સંશમની વટીએ અમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે તેમ પવનકુમાર ઉમેરે છે.

સંશમની વટીની અસરકારકતા

સંશમની વટીનું સેવન, શારિરીક અને માનસિક સ્વાસ્થય પર, રોગપ્રતિકારક શક્તિવર્ધક તરીકે, લીવર ફંકશનમાં, પાચન શક્તિમાં, તાવ, સાંધાના દુખાવા, કમળામાં અસરકારક નીવડે છે. કેન્સર, ડાયાબિટીસ, મેદસ્વીપણુ, વાયરલ અને બેક્ટેરિયલ ફીવર જેવા કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગા સામે પણ મહદઅંશે રક્ષણ મેળવવા મદદરૂપ બને છે.

(4:54 pm IST)