Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે ગુજરાતને આરોગ્ય રક્ષા- પ્રવાસન વિકાસ -કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસ પ્રકલ્પોની ડિઝીટલી ભેટ આપશે

રૂા.૪૭૦ કરોડના ખર્ચે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલને ૮૫૦ પથારી સાથે વધુ સજ્જ બનાવાઇ: બાળકોના હૃદયરોગની અદ્યતન સારવાર માટેની નવિન હોસ્પિટલનું લોકાર્પણ: એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપવેનું કરાશે લોકાર્પણ : ભગવાન દત્તાત્રેયના દર્શનના લ્હાવા સાથે કુદરતી સાનિધ્ય માણવા નવું પ્રવાસન નજરાણું : ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘‘કિસાન સૂર્યોદય યોજના’’ના નું કરાશે લોન્ચીંગ- પ્રથમ ચરણમાં ૧૫૭૦ ગામોના કિસાનોને મળશે લાભ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ જૂનાગઢ ખાતેથી સહભાગી થશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મહેસૂલ મંત્રી શ્રી યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદથી સમારોહમાં જોડાશે

ગાંધીનગર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી શનિવાર તા.ર૪મી ઓકટોબરે નવરાત્રિ ઉત્સવની અષ્ટમીએ ગુજરાતને આરોગ્ય રક્ષા, પ્રવાસન વિકાસ અને કૃષિ કલ્યાણના ત્રિવિધ  વિકાસ પ્રકલ્પોની ડિઝીટલ માધ્યમથી ભેટ અર્પણ કરશે. 

પ્રધાનમંત્રીશ્રી તા.ર૪ ઓકટોબર શનિવારે સવારે ૧૦-૩૦ કલાકે નવી દિલ્હીથી વિડીયો લીંક દ્વારા ગુજરાતના આ ત્રણ પ્રકલ્પોના પ્રજાર્પણ કરવાના છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સૌરાષ્ટ્રના જુનાગઢથી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ અમદાવાદથી આ ઇ-લોકાર્પણમાં સહભાગી થશે. 

એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટને રૂા. ૪૭૦ કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપતી આ હોસ્પિટલમાં ૮૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. 

ઉપરાંત નાના બાળકો કે જન્મતાની સાથે કે  જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સઘન સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે તેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરાવાનું છે. 

વડાપ્રધાનશ્રી આ ઉપરાંત, ઐતિહાસિક તીર્થ નગરી જુનાગઢના ગિરનાર પર્વતની ટોચે ભગવાન દત્તાત્રેયની ટૂક-અંબાજીધામ જવા-આવવા માટેના રોપ-વે નો પણ લોકાર્પણ કરવાના છે. 

એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયા ચડયા વિના ગિરનારની ટોચે પહોચી શકશે. 

પ્રત્યેક ટ્રોલી કેબિનમાં ૮ વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે અને દર કલાકે બેય તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે. 

ગુજરાતની વિશ્વખ્યાતિ સમા એશિયાટીક લાયન જોવા માટે આવતા લાખ્ખો પર્યટકો માટે પણ આ રોપ-વે એક નવું પ્રવાસન નજરાણું બનશે.  

રોપ-વે દ્વારા ગીરનારના જંગલને ઊંચાઇએથી જોવાનો અનેરો આહલાદ લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે જેના પરિણામે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું  પણ સર્જન થશે.

વડાપ્રધાનશ્રી આ બે વિકાસ પ્રકલ્પો સાથે રાજ્યના ધરતીપુત્રોને સિંચાઇ-ખેતી માટે દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ ચરણનો પણ શનિવારે વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે. 

રાજ્યના દાહોદ, જુનાગઢ અને ગિર-સોમનાથના ૧પ૭૦ ગામોના ધરતીપુત્રોને પ્રથમ તબક્કે આ કિસાન સૂર્યોદય યોજના તળે આવરી લેવાશે. 

કિસાન સૂર્યોદય યોજના ” હેઠળ ખેડૂતને ખેતીવાડીના વપરાશ માટે દિવસ દરમ્યાન વીજ પુરવઠા માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ અંતિત ૧૭૫ ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે જેમાં ૧૦૦ ગીગાવોટ (૧ લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા ૭૫ ગીગાવોટ (૭૫૦૦૦ મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ છે. 

રાજય સરકાર દ્વારા બિન-પરંપરાગત ઊર્જા ઉત્પાદનને (પવન અને સૌર ઊર્જા) પ્રોત્સાહન આપવા માટે નીતિઓ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભારતના પશ્ચિમ છેડે હોવાથી ભૌગોલીક દ્રષ્ટિએ બિનપરંપરાગત ઊર્જાનો સ્ત્રોતો ખાસ કરીને પવન અને સૌર ઊર્જાના ઉત્પાદન માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. રાજ્યની હાલની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૩૧૨૮ મેગાવોટ છે જે આગામી વર્ષોમાં ૧૦૭૫૦ મેગાવોટ કરવાનું આયોજન છે.

ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનામાં આ સૌરઊર્જા ઉત્પાદન મહત્વનું સિમાચિન્હ બનશે.

વડાપ્રધાનશ્રી દ્વારા શનિવારે ગુજરાતના આ ત્રણેય વિકાસ પ્રકલ્પના લોકાર્પણ અવસરે ઊર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલ જુનાગઢથી, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ  અમદાવાદથી સહભાગી થવાના છે.

(4:11 pm IST)