Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સુરતમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું - કોણ છે રાજ ઠાકરે , હું ઓળખતો નથી: જવાબ ટાળ્યો

ઓવૈસીએ સુરતમાં લિબાયતથી જ AIMIMના પ્રચારનું બ્યૂગલ ફુંકયું:સુરતમાં આવેલી હઝરત ખ્વાજા દાના દરગાહના દર્શન કર્યા હતા જે બાદ મીઠી ખાડી, લીંબાયતમાં જાહેર સભા સંબોધી

સુરત :રાજ્યભરમાં ઓવૈસીની પાર્ટી AIMIM પગ પેસારો કરી રહી છે.AIMIMના પ્રમુખ અસુદ્દીન ઔવેસી એક બાદ એક ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસો કરી રહ્યા છે.આજે તે સુરતના પ્રવાસે છે. પાર્ટીનું સંગઠનની મિટિંગ માટે આ મુલાકાત કરી હોવાનું જણાવતા તેઓએ એલાન કર્યું છે કે બેરોજગારી શિક્ષા અને મોંઘવારીના મુદ્દે ચૂંટણી લડીશું, ચૂંટણીની તૈયારી માટે સુરત આવવાનું થયું. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે રાજ ઠાકરેને હું નથી ઓળખતો તે કોણ છે તે બાદ સવાલનો જવાબ ટાળી દીધો હતો.દિલ્લીમાં હિંસા થઈ રહી હતી ત્યારે ઘણા લોકો મૌન બેઠા હતા.જ્ઞાનવાપીના વિવાદ પર કહ્યું કે બાબરી મસ્જિદનું જજમેન્ટ આવ્યું હતું ત્યારે મેં કહ્યું હતું કે આ જજમેન્ટ બાદ આવા ઘણા મુદ્દા ઉભા થશે.

  ઓવૈસી સુરતમાં આવેલી હઝરત ખ્વાજા દાના દરગાહના દર્શન કર્યા હતા જે બાદ મીઠી ખાડી, લીંબાયતમાં જાહેર સભા સંબોધી હતી. આપને જણાવી દઈએ કે લીંબાયત વિસ્તાર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો ગઢ મનાય છે અને ઓવૈસી સુરતમાં લિબાયતથી જ AIMIMના પ્રચારનું બ્યૂગલ ફુંકયું છે.

  AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ અમદાવાદમાં મીડિયા સાથે વાતચીત કરતા જ્ઞાનવ્યાપી મસ્જિદ વિવાદ પર નિવેદન આપાતા કહ્યું હતું કે સર્વે કરવાનો નિર્ણય ગેરબંધારણીય છે. જૂનો કાયદો છે કે ધાર્મિક સંસ્થાનોના મૂળભૂત સ્ટ્રક્ચરમાં કોઈ બદલાવ કરાશે નહીં તો પછી કઈ રીતે આ નિર્ણય લેવાય તે અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.મદરસામાં રાષ્ટ્રીય ગાન ગાવાને ફરજીયાત કરવાના નિર્ણય ઉપર અસદુદ્દીન ઓવેસીએ આરએસએસ પર નિશાન તાકતા જણાવ્યું કે રાષ્ટ્રીય ગાન ગાવા ઉપર કોણ ના પાડી શકે ? પણ નવી નવી આવેલી RSS અમને શીખવશે એમ કહીને પ્રશ્નો કર્યા હતા. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં ઓવૈસી અમદાવાદ આવ્યા હતા.

  ઔવેસીને ભાજપની B સાબિત કરવા કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યો મેદાને પડ્યા છે. મિશન 2022 માટે કોંગ્રેસ MLA ગ્યાસુદ્દીન શેખે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેઓએ બુથ એજન્ટોની નિમણૂકો કરી તમામ વોર્ડના સોશ્યલ મીડિયાના ગ્રુપ બનાવ્યા છે. ગ્યાસુદીન શેખે પોતાના વિસ્તારના 4 હજાર કાર્યકરોની યાદી તૈયાર કરી છે. પ્રચાર માટેનું સાહિત્ય પણ શેખે તૈયાર કરી લીધું છે અને વોર્ડ મુજબની બેઠકો કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ તૈયારીઓને આખરી ઓપ અપાતા ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે ઓવૈસી ભાજપની B ટીમ છે હાલ ગુજરાતમાં તે પ્રચાર કરી રહ્યા છે. મહત્વનું છે કે ઓવૈસીના કારણે અમદાવાદ કોર્પોરેશની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન ગયું હતું. આ ચૂંટણીમાં મુસ્લિમ મતોનું વિભાજન થયું હતું. જેથી વિધાનસભા ચૂંટણીમાં મોટો ફટકો ન પડે અને મુસ્લિમ મતો AIMIM તરફ ન આકર્ષાય તેને લઈને અંદરખાને જ હાલના ચાલુ મુસ્લિમ ધારાસભ્યોને મહેનત ચાલુ કરી દેવાના સૂચન કરાયું હોવાનો અંદેશો વ્યક્ત થઈ રહ્યો છે.

(9:15 pm IST)