Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પદ્માવત ફિલ્મનો જોરદાર વિરોધ:અમદાવાદના થિયેટરોમાં અત્યારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદમાં સાત જેટલા મલ્ટિપ્લેક્સમાં અને ત્રણ અન્ય થિયેટરોમાં ફિલ્મનું સ્ક્રિનિંગ કરવાની તૈયારી બતાવતા પોલીસ પ્રોટેક્શન અપાયું

અમદાવાદ :પદ્માવત ફિલ્મોનો રાજ્યમાં જોરદાર વિરોધ થઇ રહયો છે ત્યારે જે થિયેટરોમાં આ ફિલ્મ બતાવવા તૈયારી બતાવાઈ છે ત્યાં અત્યારથી જ પોલીસ બંદોઆબસ્ત ગોઠવાયો છે આ વિવાદાસ્પદ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

   અમદાવાદમાં સાત જેટલા મલ્ટિપ્લેક્સમાં અને ત્રણ અન્ય થિયેટરોએ પણ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવાની તૈયારી બતાવી છે તેમને પણ પોલીસ પ્રોટેક્શન અપાયું છે કરણી સેના અને અન્ય રાજપૂત સંગઠનો ફિલ્મ રિલીઝ સામે વાંધો ઉઠાવાઈ રહયો છે ત્યારે આ 25મીએ આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવી પોલીસ અત્યારથી જ સજ્જ બની ગઈ છે.

  રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે,પોલીસના ધ્યાને આવ્યું છે કે કેટલાક તોફાની તત્વો કરણી સેનાના નામે તોડફોડ કરી રહ્યા છે.અમદાવાદના જે થિયેટરોમાં આ ફિલ્મ રજૂ થવાની છે તેને અમે પ્રોટેક્શન આપવાનું આશ્વાસન આપ્યું છે, અને પોલીસનો કાફલો કોઈ પણ અનિચ્છનિય સ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ થિયેટરો પર ખડકી દેવાયો છે.

  પ્રમોદ કુમારે એમ પણ કહ્યું હતું કે, રાજ્યના અન્ય ભાગોમાં પણ ફિલ્મ રજૂ થવાની શક્યતા હતી. ફિલ્મના વિરોધમાં થઈ રહેલી હિંસાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, જેમાં તોફાની તત્વો સામે કલ્પેબલ હોમિસાઈડ હેઠળ ગુનો નોંધવામાં આવશે, જેમાં ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે.

  બીજી તરફ, કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ચેતવણી આપી છે કે, આ ફિલ્મને અમે ગુજરાતમાં રિલીઝ થવા નહીં દઈએ. અમે ગુજરાત મલ્ટિપ્લેક્સ અસોસિએશનને પણ મળ્યા છીએ. જો આ ફિલ્મ રજૂ થઈ તો તેનાથી થનારા કોઈ પણ પ્રકારના નુક્સાનની જવાબદારી રાજ્ય સરકાર અને થિયેટરોના માલિકોની રહેશે.

(8:02 pm IST)