Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

૨૫ વર્ષથી વધુ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનું કોકડું ઉકેલાય તેવી શકયતા

અમિતભાઇ શાહે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજીને વહીવટી ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કર્યો : રાજયમાં સોસાયટીના રિડેવલોપમેન્ટ માટે નવો કાયદો અમલી બન્યો છેઃ પહેલાં સોસાયટીમાં રહેતા ૯૦ ટકા રહેવાસીઓની : મંજૂરી જરૂરી હતીઃ નવા કાયદા બાદ ૭૦ ટકા રહેવાસીઓ મંજૂરી આપે તો પણ સોસાયટી રીડેવલોપમેન્ટ કરી શકાય

અમદાવાદ, તા.૨૨: રાજયમાં પચ્ચીસ વર્ષ કે તેથી જૂની હાઉસિંગ કોલોનીઓ, સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટ માટે સરકારે દ્યણાં સમય પૂર્વે જાહેર કરેલી નીતિમાં કેટલાક વહીવટી સહિતની મુશ્કેલીઓના કારણે સમગ્ર મામલો ગૂંચવાયો હતો. તેનો ટૂંક સમયમાં ઉકેલ આવે તેવી શકયતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અમિત શાહે પત્રકારો સમક્ષ જાહેર કર્યું હતું કે, એમના મતવિસ્તારમાં ૧૨૨ જેટલી હાઉસિંગ કોલોનીના ૧૯૦૦૦ પરિવારોને થોડા સમયમાં નવા વાતાવરણમાં, નવા મકાનમાં રહેવા મળે એવો માર્ગ મોકળો થશે. કેટલીક વહીવટી ગૂંચ હતી એના ઉકેલ માટે મુખ્યમંત્રી સહિતના લોકોની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી છે. મને આશા છે કે એનો જલદી ઉકેલ આવી જશે.

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિતભાઇ શાહે સવારથી બપોરે બે વાગ્યા સુધી પોતાના મતવિસ્તારના વિવિધ ઓવરબ્રિજ સહિતના લોકાર્પણ કાર્યક્રમો સંપન્ન કરી તુરંત ગાંધીનગર સરકીટ હાઉસ પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, પૂર્વ ઔડા ચેરમેન અને દ્યાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક સંયુકત બેઠક યોજી હતી. આ બેઠકમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા અમદાવાદ મહાનગરના રહેણાંક વિસ્તારોની કેટલીક સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટની દરખાસ્તોના અનિર્ણત મુદ્દા ઉપર એક કલાકથી વધુ સમય માટે ચર્ચા કરવામાં આવી હતી.

અહીં નોંધવુ જરૂરી છે કે, રહેણાંક સોસાયટીઓ, કોલોનીઓના રિ-ડેવલપમેન્ટ માટે રાજય સરકારે દ્યણાં સમય પૂર્વે નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં અગાઉના ૯૦ ટકા સભ્યોની સહમતીના સ્થાને ૭૦ ટકા સભ્યોની સહમતી હોય તો દરખાસ્તને મંજૂરી આપવા સહિતના અનેક પાસાઓ સમાવાયા હતા. જોકે, જે સહમતી ન આપે અથવા તો પોતે મકાન ખાલી કરવા તૈયાર ન હોય એવા કિસ્સામાં શું કરવું સહિત નીતિના અમલ માટેના સ્પષ્ટ નિયમોના અભાવે શહેરમાં કેટલીય દરખાસ્તો અનિર્ણિત પડતર હતી. આ મુદ્દે અમિતભાઇ સમક્ષ રજૂઆતો થતાં એમણે સંયુકત બેઠક યોજી હતી અને આ મામલે ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

(10:20 am IST)