Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

માત્ર બે દિવસ માટે વિધાનસભાના ટૂંકા સત્રનું આયોજન થયું છે , ત્‍યારે વિધાનસભા સત્રના દિવસો વધારવામાં આવે તેવી વિધાનસભા કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી : સત્રમાં કોરોના કાળમાં અકારણ શહીદ થયેલા કેટલાય કોરોના મૃતકને સામુહિક શ્રદ્ધાંજલિનો ઠરાવ લાવવાની તથા તૌકતે વાવાઝોડામાં સહાયમાં વિસંગતતા અને વિલંબતાને નિવારવા માટેનો ઠરાવ પસાર કરો :ભાજપના રાજમાં શિક્ષણનું ખાનગીકરણ, ફી માફીયાઓના આતંકમાંથી સામાન્‍ય મધ્‍યમવર્ગીય પરિવારોને બચાવો : પરેશભાઈ ધાનાણી

આગામી વિધાનસભા સત્રને અનુલક્ષીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યોની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં વિધાનસભા ખાતે મળી : પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતી

રાજકોટ તા.૨૧ : આગામી વિધાનસભા સત્રને અનુલક્ષીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યશ્રીઓની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં વિધાનસભા ખાતે મળી હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને સિદ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ પ્રેસ અને મીડીયાના પ્રતિનિધિઓને સંબોધતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, માત્ર બે દિવસ માટે વિધાનસભાના ટૂંકા સત્રનું આયોજન થયું છે ત્‍યારે વિધાનસભા સત્રના દિવસો વધારવામાં આવે તેવી વિધાનસભા કોંગ્રેસ પક્ષે લાગણી અને માંગણી વ્‍યક્‍ત કરી છે. વિધાનસભા સત્રમાં કોરોના કાળમાં અકારણ શહીદ થયેલા કેટલાય કોરોના મૃતકને સામુહિક શ્રદ્ધાંજલિનો ઠરાવ લાવવાની પણ કોંગ્રેસ પક્ષે લાગણી અને માંગણી વ્‍યક્‍ત કરી છે. તૌકતે વાવાઝોડામાં સહાયમાં વિસંગતતા અને વિલંબતાને નિવારવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે. તાજેતરમાં દેવભૂમિ-દ્વારકા, જામનગર અને રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં અતિવૃષ્‍ટિથી જે મોટી તારાજી સર્જાઈ છે તેનાથી લોકોના જાન-માલ, પશુધન, ઘરવખરી, ઉભા પાક, ખેતીની જમીનોને થયેલ નુકસાનનું રાજ્ય સરકાર સત્‍વરે પારદર્શી રીતે વળતર ચૂકવે તે માટે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે. ભાજપના રાજમાં શિક્ષણનું ખાનગીકરણ, ફી માફીયાઓના આતંકમાંથી સામાન્‍ય મધ્‍યમવર્ગીય પરિવારોને બચાવવા માટે કોરોના કાળમાં તમામ સરકારી તથા ખાનગી શાળા-કોલેજોમાં છ માસની ફી માફ કરવાનો ઠરાવ કર્યો છે. પ્રાથમિક શિક્ષકોને સમાન ધોરણે જૂની પેન્‍શન યોજના મુજબ પેન્‍શન ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે અને સ્‍કુલ ઓફ એક્‍સલન્‍સના બહાને સરકારી તિજોરીને લૂંટાવવા માટે સરકારે જે ષડયંત્ર રચ્‍યું છે તેમાંથી ગુજરાતના ભવિષ્‍યને બચાવવાની ચિંતા વ્‍યક્‍ત કરી છે.

કોવિડ ન્‍યાય અભિયાન અંતર્ગત કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર્તા કોવિડ વોરીયર બની આગામી ત્રીજી-ચોથી કે પાંચમી લહેરમાં સામાન્‍ય માણસના જાનમાલના રક્ષણ માટે જાગૃતિ અભિયાનને આગળ વધારે, કોવિડ મૃતક પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર મળે, કોવિડના દર્દીઓને ખાનગી હોસ્‍પિટલોમાં લૂંટાવું પડયું તેનું સંપૂર્ણ વળતર મળે, સામાન્‍ય માણસનો જીવ બચાવતા જે કોવિડ વોરીયર શહીદ થયા છે તેમના પરિવારજનને સરકારી નોકરી મળવી જોઈએ. સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ભારે મોટી જાનહાનિનો ભોગ ગુજરાતના સામાન્‍ય લોકો બન્‍યા છે. અંદાજે ત્રણ લાખ કરતાં વધુ લોકોએ કોરોના મહામારીમાં આરોગ્‍ય સુવિધાના અભાવે શહીદી વહોરવી પડી છે ત્‍યારે સરકારની આ ગુનાહિત બેદરકારીની નિષ્‍પક્ષ તપાસ થાય તે અંગે પણ વિધાનસભા કોંગ્રેસ પક્ષે ઠરાવ પસાર કર્યો છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકમાં સાંપ્રત સમસ્‍યાઓના નિવારણ માટે બૃહદ્‌ ચર્ચા કરવામાં આવી હતી. આજે સાંપ્રત સમયમાં આર્થિક મંદીની મોકાણ છે, કાળઝાળ મોંઘવારી, વધતી જતી બેરોજગારી, સરકારી તંત્ર દ્વારા અત્‍યાચાર, સરકારી કચેરીઓમાં ભ્રષ્‍ટાચાર, પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના વધતા જતા ભાવ, કોવિડ પ્રોટોકોલના તમામ કેસ પરત ખેંચવા, માસ્‍કના નામે થતી લૂંટ બંધ કરવા, કોરોના કાળ દરમ્‍યાન શૈક્ષણિક વર્ષદીઠ શાળા કોલેજોમાં અભ્‍યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની છ માસ સુધીની ફી માફ કરવા, કોરોના કાળ દરમ્‍યાન સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થા દ્વારા ઉઘરાવાતા સંપૂર્ણ કરવેરા માફ કરવા, કોરોના કાળ દરમ્‍યાન ઘરવપરાશના વીજબિલમાં રાહત આપવી, ગ્રામીણ બસના બંધ થયેલ રૂટ સત્‍વરે શરૂ કરવા, કૃષિ ઉપજના ટેકાના ભાવે ખરીદીનો કાયદો ઘડવા અને ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા રદ્દબાતલ કરવા, ગુજરાતનો ખેડૂત દેવાના બોજ નીચે દબાયેલો છે ત્‍યારે ૩૬ લાખ કરતાં વધારે નાના અને સીમાંત ખેડૂતોના ખેતીવિષયક દેવા સંપૂર્ણ માફ કરવા, મોટેરા સ્‍ટેડીયમાં સરદાર સાહેબના સ્‍વાભિમાનનું પુનઃસ્‍થાપન થાય તે માટે પાટીદાર સમાજનું નેતૃત્‍વ કરતા નવનિયુક્‍ત મુખ્‍યમંત્રી વિધાનસભા સત્રમાં મોટેરા ખાતે નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમનું પુનઃ સરદાર પટેલ સ્‍ટેડીયમ તરીકે નામાભિધાન થાય તે અંગેના ઠરાવ પસાર કર્યા હતા.

 સાબરમતી આશ્રમ આઝાદીના આંદોલનનું એકમાત્ર સંભારણું છે, તેની ઓળખ-વારસો અને સંસ્‍કારોનું જતન થાય તે માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષે ઠરાવ પસાર કર્યો છે. ફીક્‍સ પગાર, કરાર આધારિત અને આઉટસોર્સીંગ કર્મચારીઓના શોષણને બંધ કરવા માટે પણ વિધાનસભા કોંગ્રેસ પક્ષે ઠરાવ પસાર કર્યો છે. સમાનતા અને સદ્‌ભાવનાના પાયા ઉપર ઉભું થયેલું ભારત અને ગાંધી અને સરદારના ગુજરાતમાં આવતા દિવસોમાં વર્ગવિગ્રહની સ્‍થિતિને રોકવા માટે કોંગ્રેસ પક્ષ કટીબદ્ધ છે. જાતિ અને ધર્મ આધારિત કોઈપણ કટ્ટરવાદીઓ પર આક્રમક વલણથી નિયંત્રણ કરવાનો કોંગ્રેસ પક્ષે સંકલ્‍પ કર્યો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, વિધાનસભા કોંગ્રેસ પક્ષની ટીમ-૬૫ આગામી ૧૩ મહિના એટલે ૫૪ અઠવાડીયા નક્કર આયોજન સાથે આગળ વધશે. ભાજપની નિષ્‍ફળ નીતિઓને ઉજાગર કરવા ભાજપ સરકારની સમાંતર સરકાર એટલે કે શેડો મિનિસ્‍ટ્રીની રચના કરશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષ આગામી ચોમાસુ સત્રમાં લોકોની વેદનાને આક્રમકતાથી વાચા આપવા, જનતાની સમસ્‍યાના સમાધાન માટે નિષ્‍ઠાપૂર્વક પ્રયાસ કરશે અને ભાજપના સળંગ અને સતત ૨૫ વર્ષના શાસન પછી પણ તમામ મોરચે નિષ્‍ફળ નીવડેલ અને રીમોટ કન્‍ટ્રોલથી ચાલતી રૂપાણી સરકારને ઘરે બેસાડી નવા નિશાળીયાઓ મારફત ગુજરાતની પ્રજાને પુનઃ છેતરવાનો ભાજપ પક્ષ જે પ્રયાસ કરી રહ્યો છે તેમાંથી ગુજરાતની જનતા પોતાની સમસ્‍યાઓને વાચા આપવા અહિંસાના માર્ગે આંદોલનને આગળ ધપાવે તે માટે પ્રયાસ કરશે.

 કોંગ્રેસ પક્ષ દ્વારા પસાર કરવામાં આવેલ રાજનૈતિક ઠરાવ સાંપ્રત સમસ્‍યાઓને ઉજાગર કરી રહ્યો છે. ૧૦૦ વર્ષમાં અતિવિકટ એવા તૌકતે વાવાઝોડાની સહાયમાં વિસંગતતા અને સરકારના સહાય નહીં ચૂકવવાના ઈરાદાઓ ઉપર સવાલ ઉઠાવાઈ રહ્યો છે. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે, ફી માફીયોઓનો આતંક સતત વધી રહ્યો છે ત્‍યારે કોરોના કાળમાં મંદી-મોંઘવારી-બેરોજગારી વચ્‍ચે દરેક ગરીબ-મધ્‍યમવર્ગીય પરિવાર તેના બાળકનું ભવિષ્‍ય સુનિશ્‍ચિત કરી શકે તેની ચિંતા કરી રહ્યો છે. કોવિડ ન્‍યાય અભિયાન અંતર્ગત કાયદાકીય રીતે સરકારે ચૂકવવી પડતી સહાય સરકાર સત્‍વરે ચૂકવે તેવી લાગણી અને માંગણી કોંગ્રેસ પક્ષ વ્‍યક્‍ત કરી રહ્યો છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણીને આગામી ચોમાસુ સત્રમાં નવનિયુક્‍ત મુખ્‍યમંત્રી સુધી પહોંચાડશું.

વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની નિષ્‍ફળતાઓને ઉજાગર કરવા કોવિડ ન્‍યાય અભિયાન સતત આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં સરકારની વિવિધ ક્ષેત્રે નિષ્‍ફળતાઓને કારણે કોરોનાથી પીડિત પરિવારના અધિકારના રક્ષણ માટે કોંગ્રેસ પક્ષનો નાનામાં નાનો કાર્યકર્તા વ્‍યક્‍તિગત સ્‍વાર્થ છોડી લોકોના સ્‍વાભિમાનના રક્ષણ કાજે આંદોલનને આગળ ધપાવી રહ્યો છે. અનુભવી નેતૃત્‍વનું ગુજરાત કોંગ્રેસને માર્ગદર્શન મળે અને મિશન-૨૦૨૨માં આઝાદીની બીજી લડાઈને વેગ આપવા તમામ મોરચે નિષ્‍ફળ નીવડેલ ભાજપ સરકારને ઉખેડી ફેંકવા વિવિધ તજજ્ઞોનો લાભ લેવા માટે આજની બેઠકમાં ખુલ્લા મને ચર્ચા થઈ હતી.

(5:14 pm IST)