Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અરવલ્લીમાં વિધર્મી યુવક ધનસુરાની યુવતીને ઉઠાવી ગયો

અપહરણ પહેલાં માર મારતો સીસીટીવી વાયરલ : હિન્દૂ યુવતીને સરફરાજ સતાર કુંડલીયા નામનો વિધર્મી યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળ ફસાવી

અરવલ્લી,તા.૨૧ : રાજ્યમાં એક તરફ સરકારે લવ જેહાદની ઘટનાઓને ડામવા માટે કડક કાયદો ઘડ્યો છે ત્યારે બીજી બાજુ નવા કાયદાઓની વચ્ચે પણ હચમચાવી નાખતી ઘટનાઓ ઘટી રહી છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં થોડાદિવસ અગાઉ વિધર્મી યુવક દ્વારા હિન્દૂ યુવતીના અપહરણનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ધનસુરા તાલુકાના વડાગામ પાસે આવેલા મોટી વાવ ગામની હિન્દૂ યુવતીને અમરેલીના જાફરાબાદનો સરફરાજ સતારભાઈ કુંડલીયા નામનો વિધર્મી યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળ ફસાવી હતી અને ૧૨ ઓગસ્ટના રોજ વડાગામ થી તેને ભગાડીને લઈ ગયો હતો. જોકે, યુવતીના કથિત 'અપહરણ' પહેલાં યુવક યુવતીને માર મારતો હોવાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.

વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની વિગતો એવી છે કે ' ૧૩ ઓગસ્ટના રોજ જાફરાબાદના યુવક સામે ધનસુરા પોલીસે મથકે યુવતીના પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ધનસુરા પોલોસે જુદી જુદી ટીમો બનાવી યુવક-યુવતીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં જાફરાબાદ તપાસમાં ગયેલી ધનસુરા પોલીસ મથકની ટીમે યુવકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરતાં યુવક યુવતીને શોધી કાઢવામાં સફળતા મળી હતી અને યુવક-યુવતી મુંબઈ હોવાનું માલુમ પડતા અરવલ્લી એલસીબી અને ધનસુરા પોલીસની ટીમ મુંબઈ પહોંચી હતી. પોલીસે મુંબઈથી યુવક યુવતીને ઝડપી પાડી અરવલ્લી જિલ્લા પોલીસ ભવન ખાતે લાવી પૂછપરછ હાથધરી હતી.

પોલીસે વિધર્મી યુવકને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી. જોકે, યુવક પરિણીત હોવાની પણ ચર્ચા છે ત્યારે શું લવ જેહાદનો મામલો છે કે નહીં તે તો તપાસના અંતે જાણી શકાશે. યુવક અને યુવતી વડાગામ ખાતેથી ભાગ્યા હતા તે સમયે વિધર્મી યુવકે હિન્દૂ યુવતીને માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સીસીટીવી ફુટેજમાં વિધર્મી યુવક યુવતીને માર મારી રહ્યો છે જેના કારણે પંથકમાં ખળભળાટ મચી જવા પામી છે.પોલીસ દ્વારા સીસીટીવીના આધારે યુવકની પૂછપરછ હાથ ધરી છે. રાજ્યમાં લોભ-લાલચ, બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરાવાય તેમજ આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-૨૦૦૩ રજૂ કર્યું હતું.

લવ જેહાદનો કાયદાનો રાજ્યમાં ૧૫મી જૂનથી અમલી બન્યો હતો. કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, ફક્ત ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. લવ જેહાદના કાયદાની જોગવાઈ પ્રમાણે કોઇપણ વ્યક્તિ કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં. ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનાર પણ પ્રકારે દોષિત ગણાશે. કાયદા અંતર્ગત ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ તેમજ ત્રણ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લવ જેહાદનો કાયદો અમલી બનાવતા ગુજરાતમાં પણ ભાજપના ધારાસભ્યોએ આવી માંગણી કરી હતી.

(7:31 pm IST)