Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અફઘાનિસ્‍તાનમાં તાલીબાનના કબ્‍જાથી ગુજરાતમાં ડ્રાયફ્રુટના વેપારને ભારે અસરઃ સમગ્ર સૌરાષ્‍ટ્રમાં 500 ટનનો બિઝનેશ ખોરવાઇ જતા વેપારીઓની સ્‍થિતિ કથળી

25 દિવસમાં ડ્રાયફ્રુટસના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો

રાજકોટ: ગુજરાત અને અફઘાનિસ્તાનનો વર્ષોથી વેપારી નાતો રહ્યો છે. ગુજરાતીઓ અફઘાનિસ્તાનના સૂકામેવા ખાતા આવ્યા છે. પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનની એન્ટ્રી બાદ તેનો કબજો હવે તાલિબાનીઓના હાથમાં જતો રહ્યો છે. હાલ અફઘાનિસ્તાનનો અંધાધૂંધીભર્યો માહોલ જ ચર્ચામાં છે. ત્યાં બધુ ખોરવાઈ ચૂક્યુ છે. ત્યારે ગુજરાત સાથે થતો અફઘાનિસ્તાનનો ઈમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ પણ ખોરવાઈ ચૂક્યો છે. તેની સીધી અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં ડ્રાયફ્રુટ માર્કેટ પર જોવા મળી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં 500 ટનનો બિઝનેસ કઈ રીતે ખોરવાયો જુઓ ખાસ અહેવાલમાં. 

સૌરાષ્ટ્રમાં દર વર્ષે 500 ટન અફઘાની ડ્રાયફ્રુટનું વેચાણ થાય છે. જોકે હાલ જે રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજથી અરાજકતા ફેલાઈ ગઈ છે તેની સીધી અસર સૌરાષ્ટ્રના ડ્રાયફ્રુટ વેપાર પર થયો છે. સૌરાષ્ટ્રના ડ્રાયફ્રુટ વેપારમાં આની મુખ્ય 3 પ્રકારની અસર થઇ છે. જેમ કે

- છેલ્લા 25 દિવસમાં ડ્રાયફ્રૂટના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો થયો છે

- સૌરાષ્ટ્રના વેપારીઓનો કરોડો રૂપિયાનો ડ્રાયફ્રૂટનો માલ ઓર્ડર આપ્યા બાદ ફસાઈ ચૂક્યો છે

- હાલ સમગ્ર દેશમાં 45 દિવસ સુધી ચાલે એટલો જ ડ્રાયફ્રુટનો જથ્થો ઉપલબ્ધ છે

ડ્રાયફ્રૂટમાં ભાવ વધારો

સૌરાષ્ટ્રમાં છેલ્લા 25 દિવસમાં ડ્રાયફ્રૂટમાં 25 થી 30 ટકાનો વધારો નોંધાયો છે. જો આગામી સમયમાં આયાત શરૂ નહિ થાય તો હજુ પણ એક અઠવાડિયામાં 5 ટકા ભાવ વધશે. ડ્રાયફ્રૂટમાં થયેલ ભાવ વધારાની વિગત આ પ્રમાણે છે. 

- બદામ - જુલાઈ મહિનાનો ભાવ 600 થી 625 અને હાલનો ભાવ 950 થી 980 રૂપિયા

- અંજીર - જુલાઈ મહિનાનો ભાવ 600 થી 900 અને હાલનો ભાવ 900 થી 1200

- કાળી દ્રાક્ષ - જુલાઈ મહિનાનો ભાવ 240 થી 250 અને હાલનો ભાવ 350 થી 450

- ગ્રીન પિસ્તા - જુલાઈ મહિનાનો ભાવ 1200 થી 1400 અને હાલનો ભાવ 1400 થી 1700

- ડોડી પિસ્તા - જુલાઈ મહિનાનો ભાવ 750 અને હાલનો ભાવ 950

- અફઘાન કિસમિસ - જુલાઈ મહિનાનો ભાવ 450 અને હાલનો ભાવ 700 થી 750

- કાજુ - જુલાઈ મહિનાનો ભાવ 600 થી 700 અને હાલ નો ભાવ 900 થી 950

સૌરાષ્ટ્રના વેપારીઓનો ડ્રાયફ્રૂટનો માલ સલવાયો

ડ્રાયફ્રુટના હોલસેલના વેપારી દિપકભાઈ મૃગે જણાવ્યું કે, હાલ અફઘાનિસ્તાનમાં આયાત નિકાસ ખોરવાઈ ગઈ છે. જેના લીધે સૌરાષ્ટ્રના વેપારીઓનો કરોડો માલ ઓર્ડર આપ્યા બાદ ફસાઈ ચૂક્યો છે. જે પણ વેપારીઓ અફઘાનિસ્તાનમાં વેપાર અને આયાત નિકાસ કરતા હતા. તેઓ તાલિબાનના ડરને લીધે નાસી ચૂક્યા છે. જેથી કરોડોનો માલ ગોડાઉનમાં જ લાવારીસ હાલતમાં છે. જેના લીધે સૌરાષ્ટ્ર અનેક વેપારીઓનું કરોડોનું ડ્રાયફ્રૂટ ફસાઈ ચૂક્યું છે.

માત્ર 45 દિવસ ચાલે એટલો જ  જથ્થો ઉપલબ્ધ છે

હાલ ડ્રાયફ્રુટની નિકાસ અને આયાત બંધ છે અને હાલ 45 દિવસ ચાલે એટલુો જ ડ્રાયફ્રૂટનો જથ્થો ઉપલબ્ધ છે. જોકે ટૂંક સમયમાં આયાત નિકાસ શરૂ નહિ થાય તો દિવાળી દરમિયાન ડ્રાયફ્રુટ મળે તેવી કોઈ શક્યતા નથી. દિવાળી દરમિયાન ડ્રાયફ્રુટનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. લોકો ડ્રાયફ્રુટનો ઉપયોગ દિવાળી દરમિયાન એકબીજાને ભેટ આપવા માટે કરતા હોય છે. જોકે 45 દિવસમાં આયાત નિકાસ શરૂ નહિ થાય તો દિવાળી ડ્રાયફ્રુટ વગરની જશે તે ચોક્સ છે. ન માત્ર ભારતને, આ વેપાર અટકવાથી અફઘાનિસ્તાનને પણ અસર પડશે. કારણ કે ત્યાંના લોકોનો આવકનો એક સ્ત્રોત ડ્રાયફ્રુટનું વેચાણ પણ છે.

(4:37 pm IST)