Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરામાં ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ...

અષાઢ સુદ અગિયારસના દિવસે શરુ થતો ચાતુર્માસ કારતક સુદ અગિયારસના રોજ પૂર્ણ થાય છે. ચાર મહિના દરમિયાન ભગવાન પોઢી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતાં નથી. ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમના કૌશલ્ય વિકસાવીને, ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જયારે યોગીઓ સાધના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે. 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા (હરણી રોડ સ્થિત - શ્રી મુક્તજીવન સ્વામીબાપા માર્ગ) ખાતે ચાતુર્માસમાં પવિત્ર શ્રાવણ માસમાં *સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર* સંસ્કૃત ગ્રંથની પાંચ દિવસની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું રસપાન સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું. ચાતુર્માસની પાંચ દિવસની કથાની પૂર્ણાહુતિ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં ચાતુર્માસ - શ્રાવણ માસમાં ભગવાનનાં દર્શન, કથાવાર્તા, પતિવ્રતા ભક્તિ, સ્વરૂપનિષ્ઠાની દઢતા વગેરેનું માહાત્મ્ય સમજાવ્યું હતું. ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જે કોઈ વિશેષ નિયમો ધારણ કરે છે તે પરલોકમાં તો સુખી થાય જ છે. પરંતુ આ લોકમાં પણ સુખી થાય છે.

આ ચાતુર્માસમાં ઉપવાસ આદિ કરીને તપ કરવાનું શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવેલું છે. અને બીજું કે ચાતુર્માસ દરમ્યાન અનેક ઉત્સવો આવે છે તેથી માનવીને ભગવાનની ભક્તિ કરવાની અનેક તકો સાંપડે છે. તેથી તપ અને ભક્તિ કરીને ચાતુર્માસમાં મોક્ષપદ પ્રાપ્ત કરી શકાય છે. 

શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ ચાતુર્માસના મહાત્મ્યનું પ્રતિપાદન કરતાં શિક્ષાપત્રીમાં કહ્યું છે કે,’ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે, ‘ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમો કોઈ એક નિયમ ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો. તેથી આજેય સૌ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી સંતો- ભક્તો આ નિયમો ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાર્થે અંગીકાર કરે છે. ચાતુર્માસ કથા પૂર્ણાહુતિનો અણમોલ લ્હાવો દેશવિદેશના હજારો હરિભક્તોએ ઓનલાઈન લાભ લીધો હતો.

(11:32 am IST)