Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સોમનાથ મંદિરને સરદાર વલ્લભભાઇ પટેલે સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડયું : નરેન્દ્રભાઇ મોદી

પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી રૂ.૮૫ કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રકલ્પોનુ લોકાર્પણ - શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અને ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી સહિતના મહાનુભાવોની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા પ્રત્યક્ષ ઉપસ્થિત

પ્રભાસ પાટણ - વેરાવળ તા. ૨૧ :  વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીએ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે યાત્રિકોને સુખાકારી, સગવડતા, સુવિધા અને આસ્થા પ્રદાન કરતા ચાર પ્રકલ્પો સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી, અને જૂના સોમનાથ મંદિર જીર્ણોદ્ઘાર નવીનીકરણનું વર્ચ્યુઅલ લોકાર્પણ તેમજ શ્રી પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન સોમનાથને નમન કરી સગૌરવ જણાવ્યું હતું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું પ્રાચીન ગૌરવ પુનજીર્વિત કરવાની દ્રઢ ઇચ્છાશકિત દર્શાવી અને એ કાર્ય થયું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સરદાર સાહેબ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતા હતા.

વડાપ્રધાનએ આ પ્રસંગે લોકમાતા અહિલ્યા બાઈને યાદ કરીને તેઓએ ભગવાન વિશ્વનાથથી લઇ ભગવાન સોમનાથ સહિત કેટલાય મંદિરોના જીર્ણોધ્ધાર કરાવ્યા હતા તેમ કહી તેમના જીવનમાં રહેલા પ્રાચીનતા અને આઘુનિકતાના સંગમને આજે દેશ પોતાનો આદર્શ માનીને આગળ વધી રહ્યો છે તેમ ઉમેર્યું હતું.

વડાપ્રધાનએ શિવ અવિનાશી, અવ્યક, અનાદિ છે તેમ શ્રદ્ઘાપૂર્વક જણાવી કહ્યું હતું કે આ મંદિરને ઇતિહાસમાં  ઘણીવાર તોડવામાં આવ્યું અને જેટલીવાર પડ્યું તેટલી વાર ફરી પુર્નજીવિત થઈ ગરિમા અને ગૌરવ સાથે ખડું થયું.

તોડવાનુ- આતંકનું સામ્રાજય ઉભું કરવાનો વિચાર થોડો સમય માટે હાવી થઇ શકે પરંતુ તેનું અસ્તિત્વ કયારેય સ્થાયી હોતું નથી. સત્યને અસત્યથી તેમજ માનવતાના મુલ્યોને આતતાયી તાકાતોથી દબાવી શકાતા નથી.

આપણી વિચારધારા ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની રહી છે અને નવા ભારતના નિર્માણ માટે અતીતને પણ જોડવાનો આપણો સંકલ્પ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં કહ્યું હતું કે પશ્યિમમાં સોમનાથ નાગેશ્વર, ઉત્ત્।રમાં બાબા કેદારનાથથી દક્ષિણમાં રામેશ્વર સુધી બાર જયોતિર્લિંગ પુરા ભારતને આપસમાં જોડવાનું કામ કરે છે.

બાર જયોતિર્લિંગ ,ચાર ધામ તીર્થ સ્થળોની વ્યવસ્થા, શકિતપીઠની સંકલ્પના આસ્થાની રૂપરેખા અને દેશના ખૂણે-ખૂણે રહેલા તીર્થ સ્થળો હકીકતમાં એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવના અભિવ્યકત કરે છે તેમ વડાપ્રધાનશ્રીએ દેશની સાંસ્કૃતિક વિરાસતોના સંદર્ભમાં  જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયની પ્રસાદ યોજના થકી દેશના તીર્થ સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતમાં સોમનાથ સહિતના સ્થળોએ પણ યાત્રિક લક્ષી સુવિધાઓ સગવડમાં વધારો થયો છે તે સંદર્ભમાં વડાપ્રધાનશ્રી એ જણાવ્યું કે દેશભરમાં થયેલા આવા વિકાસ લક્ષી કાર્યોને લીધે વર્ષ ૨૦૧૩માં દેશ ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પેટીટેવનેસ ઈન્ડેકસ માં ૬૫મા ક્રમે હતો જે વર્ષ ૨૦૧૯માં આગળ વધી ૩૪માં ક્રમે સ્થાન મળ્યું છે.

વડાપ્રધાનએ ગુજરાતમાં કચ્છ સહિતના વિવિધ સ્થળોએ પ્રવાસનના વિકાસ માં આધુનિકતાને જોડીને કરવામાં આવેલા સંકલ્પ થી સિદ્ઘિ ના વિકાસ લક્ષી પ્રયાસોના પરિણામો ગુજરાતે જોયા છે તેમ ગૌરવ સહ જણાવ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવ ના વર્ષમાં સોમનાથ મંદિર નૂતન કાર્યો થકી પ્રેરણા આપે છે.

 સોમનાથમાં પ્રદર્શની ગેલેરી થી પૌરાણિકતા વિશે અને મંદિર વિશે જાણીને આવનારી પેઢી નવયુવાનોને વિશેષ માહિતી મળશે તેમ પણ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

 આ અવસરે કેન્દ્રિય ગૃહ મંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઇ શાહે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારથી સોમનાથ ટ્રસ્ટમાં જોડાયા ત્યારથી તેઓએ કરોડો શ્રદ્ઘાળુઓના કેન્દ્ર સમાન સોમનાથના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે અને રોડમેપ તૈયાર કરી માર્ગદર્શન આપ્યું છે.

સોમનાથ તીર્થમાં સમુદ્ર દર્શન પથ અને પ્રદર્શન અને જુના સોમનાથ મંદિરનો પુનરોદ્ઘાર નવીનીકરણ અને દાતા શ્રી ભીખુભાઈ ધામેલીયાના પરિવારના સહયોગથી બનાવવામાં આવી રહેલા શ્રી પાર્વતી માતા ના મંદિર સહિતના નિર્માણ કાર્યો સહિતના પ્રકલ્પોથી સોમનાથ તીર્થમાં શ્રદ્ઘાળુઓ યાત્રિકો ની સુવિધા વધશે તેમ જણાવીને કેન્દ્રિય ગૃહ મંત્રીએ ભારત સરકાર અને ગુજરાત સરકારનું સંકલન તેમજ સોમનાથ ટ્રસ્ટ તેમજ દાતાઓના સહયોગથી વિકાસના યાત્રિકોની સેવાને લગતા અનેક કાર્યો થઇ રહ્યા છે તેની રૂપરેખા આપી હતી.અમિતભાઈ શાહે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલી દર્શનની સુવિધા તેમજ સ્વચ્છતાના મહત્વના કાર્યો સતત થઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને સોમનાથ મંદિરનું ગૌરવ ગરિમા અને દિવ્યતા સાથે મહાત્મયની શ્રદ્ઘા વ્યકત કરી હતી.

આ પ્રસંગે સોમનાથ ખાતે લોકાર્પણ સમારોહમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સુવિધા માટેના અનેક કાર્યો થઈ રહ્યા છે. સોમનાથ મંદિરની ગરિમા ગૌરવ આભને સ્પર્શી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર સોમનાથ તીર્થ સ્થળના વિકાસ કાર્યમાં હર હંમેશ પ્રતિબદ્ઘ છે તેમ જણાવ્યું હતું.

 સોમનાથ સહિત ગુજરાતના તીર્થસ્થળો ના વિકાસ માટે શ્રેણીબદ્ઘ માળખાગત કામો હાથ ધરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાઉતે વાવાઝોડા દરમિયાન અને કોરોનાની મહામારી દરમિયાન અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા છે તેની માહિતી આપી સોમનાથ તીર્થ સ્થળોમાં શ્રદ્ઘાળુઓનો યાત્રિકોનો વધારો થઈ રહ્યો છે તેની માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ દર્શનની જે વ્યવસ્થા થઈ છે તેને પણ આવકારી હતી.

મુખ્યમંત્રીએ સોમનાથમાં યાત્રિકોને રહેવા માટેની વ્યવસ્થા વધારવામાં આવી છે તે અંગે માહિતી આપી રાજય સરકાર દ્વારા પણ પર્યટન વિકાસ માટે કરવામાં આવી રહેલા કાર્યોની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે લહેરી, ટ્રસ્ટી જેડી પરમાર તેમજ પૂર્વ ધારાસભ્યઓ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .

આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયક, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજયમંત્રી વાસણભાઇ આહિર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિતના મહાનુભાવો પણ વર્ચ્યુઅલ માધ્યમ થી જોડાયા હતા. આ કાર્યક્રમની રૂપરેખા કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સચિવએ આપી હતી.

(10:14 am IST)