Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સુરતના રિંગરોડ માન દરવાજા નજીક સુરતના દલાલ મારફતે 16.08 લાખની કુર્તી ખરીદી નોઈડાનો દુકાનદાર પેમેન્ટ કર્યા વગર રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના રીંગરોડ માન દરવાજા સ્થિત રાજહંસ ઇમ્પીરીયામાં ઓફિસ ધરાવતી સારોલીની કુર્તી બનવાતી કંપની પાસેથી સુરતના દલાલ મારફતે રૂ.16.08 લાખની કુર્તી ખરીદી નોઈડાનો દુકાનદાર પેમેન્ટ કર્યા વિના ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ માન દરવાજા સ્થિત રાજહંસ ઇમ્પીરીયામાં ઓફિસ ધરાવતી સ્નેપ સ્ટાઇલ નામની કંપની સારોલી ખાતે કુર્તી બનાવવાની ફેક્ટરી ધરાવે છે. એક વર્ષ અગાઉ દલાલ નિર્મલકુમાર શીવકુમાર લોહીયા ( રહે. મકાન નં.59, પુનમ નગર સોસાયટી, સ્વામી વિવેકાનંદ ગાર્ડન પાસે, ભટાર, સુરત ) વેપારી પંકજકુમાર સિંહને લઈ કંપનીની ઓફિસે આવ્યો હતો અને મેનેજર તુષારભાઈ મહેશભાઇ રેવરીને મળ્યો હતો. પંકજસિંહે પોતે ઉત્તરપ્રદેશના નોઈડામાં ગૌતમ બુદ્ધ નગર સેક્ટર 2 ડી/55 માં આવેલી શોપઝો બ્રાન્ડ પ્રા.લી.ના ડાયરેક્ટર તરીકે ઓળખ આપી સમયસર પેમેન્ટનો વાયદો કરતા તુષારભાઈએ તેની સાથે વેપાર શરૂ કર્યો હતો.

આથી તુષારભાઈએ તેને 19 જૂન થી 16 ઓક્ટોબર 2021 દરમિયાન કુલ રૂ.16,08,493 ની મત્તાની કુર્તી મોકલી હતી. પરંતુ સમયસર પેમેન્ટ કરવાને બદલે પંકજ સિંહે વાયદા કર્યા હતા. બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરતા નોઈડા જઈ તપાસ કરી તો તે દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે તુષારભાઈએ ગતરોજ વેપારી પંકજસિંહ અને દલાલ નિર્મલકુમાર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં રૂ.16.08 ની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

 

(5:50 pm IST)