Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

અમદાવાદમાં ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્‍ય સતીષ પટેલના ઘરમાં લોક તોડીને મકાન વેચનાર મહિલાનો પુત્ર પત્‍ની સાથે ઘુસી જતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: ભાજપના આગેવાનના ઘરમાં લોક તોડી મકાન વેચનાર મહિલાનો પુત્ર પત્ની સાથે ઘુસી જતા નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માતાએ 9 મહિના અગાઉ મકાન વેચાણ આપી પૈસા લઈ દસ્તાવેજ કરી આપ્યો હતો. ભાજપ આગેવાનના પિતા નામે ટેક્સ બિલ, લાઈટબિલ પણ આવતું હતું. 9 મહિના બાદ મકાન વેચનાર મહિલાના પુત્રે બંધ ઘરનું તાળું તોડી મકાનનો કબ્જો લઈ ગનમેન બેસાડી દીધો હતો. ભાજપ આગેવાન પિતાના મકાને ગયા તો ગનમેનએ ધક્કા મારી બહાર કાઢ્યા હતા.

ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય સતીષ નટવરલાલ પટેલ (ઉં,44) રહે, આનંદનગર એપાર્ટમેન્ટ, અખબારનગર નવાવાડજએ નરેન પ્રહલાદ પટેલ અને તેની પત્ની મીનાક્ષી નરેન પટેલ બન્ને રહે,ઘાટલોડિયા વિરુદ્ધ એકબીજાની મદદગારી કરી ગેરકાયદેસર રીતે લોક તોડી મકાનમાં પ્રવેશ કરી ધાક્ધમકી આપવા અંગે ફરિયાદ કરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ સતીષ પટેલના પિતા નટવરભાઈ પટેલએ ગત તા 19-3-2020ના રોજ નારણપુરા અંકુર ચાર રસ્તા જીએચબી કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી મહાગુજરાત કો.ઓ.સોસાયટી (સૌરભ સોસાયટી)માં આવેલું શારદાબહેન પ્રહલાદભાઈ પટેલનું મકાન વેચાણ રાખ્યું હતું. આ મકાન નટવરભાઈએ તેઓના અને તેમના નાના પુત્ર અમીષ પટેલના નામ પર લીધું હતું.

આ મકાનનો દસ્તાવેજ તેઓએ સબરજીસ્ટારની કચેરી મેમનગર અમદાવાદ ખાતે કરાવ્યો હતો. મકાનનું મ્યુ.ટેક્ષ બિલ અને લાઈટ બિલ પણ નટવરભાઈ પટેલના નામે નામે આવે છે. બુધવારના રોજ સતિષ પટેલ તેમના ભાઈ તથા પિતા સાથે દોઢ માસથી મકાનનું રિનોવેશન કામ ચાલતું હોય તે જોવા માટે ત્યાં ગયા ત્યારે મકાનના કમ્પાઉન્ડમાં સિક્યુરિટી એજન્સીના ગનમેને તેઓને રોક્યા હતાં.

સતિષ પટેલએ મકાન તેમના પિતાનું હોવાનું જણાવી ગાર્ડને તમે કોણ? તેવો સવાલ કરતા સિક્યુરિટી ગાર્ડે નરેન પ્રહલાદભાઈ પટેલએ તેમને રાખ્યા હોવાનું જણાવી મકાનમાં પ્રવેશવા ન દેવા તેમની સાથે ધક્કામુકી કરી હતી. આ દરમિયાન નરેનભાઈ ઘરમાંથી નિકળી બહાર જતા રહ્યાં હતાં અને પહેલે માળે ગેલેરીમાં નરેનભાઈની પત્ની મીનાક્ષીબહેન તથા પુત્ર પણ જણાઈ આવ્યા હતાં.

આ અંગે સતિષભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતાં નારણપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ અંગે સતિષભાઈએ મકાન ખરીદી વખતે કોઈ દિવાની દાવો ચાલતો હોવાનું ધ્યાનમાં આવ્યું ન હોવા સાથે નરેનભાઈ પ્રહલાદભાઈ પટેલ તથા તેમની પત્ની મીનાક્ષીબહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(5:26 pm IST)