Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સાણંદ ખાતે રાજ્યના એડીશનલ ડાયરેક્ટર ફેમિલી વેલ્ફેર દ્વારા કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી

સંસ્કાર સ્કુલ ખાતે ડૉ.નિલમ પટેલે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી લેવા માટે હાકલ કરી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ:કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની સંસ્કાર સ્કુલ ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશન કરવામાં આવ્યુ હતુ અને સરકારી આરોગ્ય કર્મચારીઓ, પ્રાઇવેટ પ્રેક્ટિસનર્સ સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી હતી. કોવિડ રસીકરણ કેન્દ્ર પર ગુજરાત રાજ્યના એડીશનલ ડાયરેક્ટર (ફેમિલી વેલ્ફેર) ડૉ.નિલમ પટેલ ઉપસ્થિત રહ્યા અને કામગીરી સુપરવિઝન કરવામાં આવ્યું હતું. ડૉ.નિલમ પટેલ દ્વારા જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યા અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી લેવા માટે હાકલ કરી હતી. તેમની સાથે જીલ્લા આરસીએચઓ ડૉ.ગૌતમ નાયક અને જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇ દ્વારા પણ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.

        અત્રે ઉલ્લેખનીય છે કે કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે  સોશિયલ ડિસ્ટન્સ  રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે. અમદાવાદ જીલ્લામાં અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. જેમાંથી કોઇને પણ ગંભીર આડઅસર થઇ નથી તેમ જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ.

(2:02 pm IST)