Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

લક્ષ્યાંકો નક્કી કરી ઇમાનદારી સાથે પ્રયત્ન જરૂરી : રાષ્ટ્રપતિ

યુનિના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ ઉપસ્થિત : અબ્દુલ કલામ સ્પેસ સાયન્ટીસ્ટ તો નરેન્દ્ર મોદી સોશિયલ સાયન્ટીસ્ટ : પદવીદાન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિનું સંબોધન

અમદાવાદ,તા. ૨૧ : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરી પૂરી નૈતિકતાથી અને ઇમાનદારીથી પ્રયત્ન કરવામાં આવે તો તે કદાપી નિરર્થક નહીં નીવડે. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પદવીદાન સમારોહમાં આ પ્રથમ વખત છે કે, દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અમદાવાદને દેશમાં સૌ પ્રથમવાર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનું બિરુદ મળ્યું છે તે દેશ માટે ગર્વ અને આનંદની વાત છે. અમદાવાદને આ બિરુદ આપસી સૌહાર્દ, પુરાતન ધરોહર સાથે રાષ્ટ્રપિતા ગાંધીજીના નેતૃત્વમાં અમદાવાદ અહિંસાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે તે પણ છે તેમ જણાવ વિદ્યાર્થીઓને સામાજિક સૌહાર્દ અને અહિંસા જીવનમાં ઉતારવા સાથે તેનો પ્રચાર-પ્રસાર કરવા પણ અનુરોધ કર્યો હતો. અમદાવાદની ધરતી પર તાજેતરના વર્ષોમાં ચીન, જાપાન અને ઇઝરાયેલના રાષ્ટ્રવડાઓ આવી ચુક્યા છે તેમ જણાવી તેમણે કહ્યું કે, અહીં આવનાર મહાનુભાવો અમદાવાદની સંસ્કૃતિ-વિરાસતને જોઇ પ્રભાવિત થાય ચે તે સાથે અહીં વિકાસનું જે વાતાવરણ છે તે પણ તેઓને આકર્ષિત કરે છે તેથી જ ગુજરાત દેશમાં વિકસિત રાજ્ય તરીકે રાષ્ટ્રમાં અગ્રેસર છે. તેમણે ડો. અબ્દુલ કલામ જો સ્પેશ સાયન્ટીસ્ટ છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ સાયન્ટીસ્ટ છે તેમ જણાવી કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટી માટે આનંદની વાત છે કે, વડાપ્રધાન આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચુક્યા છે તો, ડો. અબ્દુલ કલામ આ કર્મભૂમિમાં બે વર્ષ સુધી સંશોધન કાર્ય કરી ચુક્યા છે. આ બંનેએ સામાન્ય પરિવારમાંથી આવતું વ્યક્તિત્વ છે અને છતાં બંને ઊંચાઈ પર પહોંચ્યા છે તેમાંથી પ્રેરણા લેવા તેમણે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં સાંસ્કૃતિક વિરાસત અને નૈતિક મૂલ્યોના મૂળ દૃઢ બનાવ્યા હતા તો તેની સાથે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરતા આઈ ક્રિએટ જેવા સંસ્થાનોની સ્થાપના કરી ઉદ્યોગ સાહસિકતાને ળ મળે તેવા વાતાવરણનું ગુજરાતમાં સર્જન કર્યું છે. વિદ્યાર્થીઓ માટે આ સાનુકુળ તક છે કે, પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધે અને એટલી ઉંચાઈ હાંસલ કરે કે આ મહાનુભાવોને પણ પાછળ છોડી દે, તેમ તેમણે વિદ્યાર્થીઓનો ઉત્સાહવર્ધન કરતા જણાવ્યું હતું. ડો. વિક્રમ સારાભાઈ અને ડો. કસ્તુરીરંગન જેવા વૈજ્ઞાનિકોની પણ અમદાવાદ કર્મભૂમિ રહી છે તેનું સ્મરણ કરતા તેમણે કહ્યું કે, સ્વ-રોજગાર તો ગુજરાતની સંસ્કૃતિ રહી છે તે જ કદાચ ગુજરાતના વિકાસનું મુખ્ય કારણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટાર્ટઅપ-સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા યુવાનોને આગળઆવવા માટે સાનુકુળ વાતાવરણનું સર્જન કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓએ પણ આ તક ઝડપી લેવી જોઇએ, તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે તમે ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ જે લોકો હજુ શિક્ષણ અને વિકાસથી વંચિત છે તે અંગે વિચારવું તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. અગાઉ રાષ્ટ્રપતિ કોવિંદ અમદાવાદ પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી રૂપાણી વિમાની મથકે તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા.

(9:31 pm IST)