Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

કરણી સેનાની ખુલ્લી ચીમકીઃ 'પદ્માવત' રીલીઝ થઇ તો થિયેટરોને આગ ચાંપી દઇશું

અમે પરિણામો ભોગવવા તૈયાર છીએઃ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાજપૂતોની લાગણી દુભાઇઃ જરૂર જણાશે તો અમારા સભ્યો લોકશાહી વિરૂધ્ધના પગલા પણ ભરતા ખચકાશે નહિ

રાજકોટ, અમદાવાદ તા. ૨૦  : સંજય લીલા ભણશાલીની પદ્માવતને ભલે સુપ્રીમ કોર્ટે થિયેટરમાં રીલીઝ કરવા માટે લીલી ઝંડી આપી દીધી હોય પરંતુ મલ્ટીપ્લેકસ અને સિંગલ સ્ક્રીન થિયેટરોના માલિકો ૨૫મી જાન્યુઆરીએ આ ફિલ્મ રીલીઝ કરતા ગભરાઈ રહ્યા છે. કરણી સેના અને બીજા રાજપૂત દળોએ ચીમકી આપી છે કે આ ફિલ્મ રીલીઝ થશે તો તોડફોડ અને થિયેટરોને આગ પણ લગાવી દેવામાં આવશે.

શ્રી રાજપૂત કરણી સેનાના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે શુક્રવારે જાહેરમાં ચીમકી આપી કે જે થિયેટરો પદ્માવત રીલીઝ કરશે તેને તેઓ આગ ચાંપી દેશે. તે કહે છે, 'અમે પરિણામો ભોગવવા તૈયાર છીએ. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાજપૂતોની લાગણી દુભાઈ છે. જરૂર જણાશે તો અમારા સભ્યો લોકશાહી વિરુદ્ઘના પગલા પણ ભરતા ખચકાશે નહિ. અમે કોઈપણ કિંમતે ફિલ્મ રીલીઝ નહિ થવા દઈએ અને જે થિયેટરો ફિલ્મ રીલીઝ કરશે તેને આગ ચાંપી દઈશુ.'

શુક્રવારે કરણી સેનાના સભ્યોએ સૌરાષ્ટ્રમાં અનેક રસ્તા તથા હાઈવે બ્લોક કરી દીધા હતા. તેમણે ટાયર સળગાવવા ઉપરાંત રાજય સરકારની બસ, ખાનગી લકઝરી બસ અને ભાવનગર-અમદાવાદ હાઈવે પર બે ટ્રક પર પથ્થરમારો પણ કર્યો હતો. આ કારણે પાલીતાણા-ભાવનગર હાઈવે, બોટાદ જિલ્લાના રાણપુર રોડ, કચ્છના સમાત્રા ગાામના સમખિયાળી-ભચાઉ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

રાજકોટમાં પણ કરણી સેનાના સભ્યો ગુરુવારે રાત્રે એક બાઈક રેલીનું આયોજન કર્યું હતુ અને ત્યાર પછી કેન્ડલ લાઈટ માર્ચ કરી હતી. ઘણા મલ્ટી પ્લેકસ અને સિંગલ સ્ક્રીન થિયેટરે પદ્માવત રીલીઝ કરવાની મનાઈ કરી દેતા સૌરાષ્ટ્રમાં આ ફિલ્મ રીલીઝ થાય તેવી શકયતાઓ ઘણી ઓછી છે. ભાવનગરના મલ્ટીપ્લેકસના માલિક મનીષ પારેખે જણાવ્યું, 'અમને આ ફિલ્મ રીલીઝ કરવા સામે રોજની ધમકીઓ મળી રહી છે. હવે અમને પોલીસ પ્રોટેકશન મળે તો પણ અમે તેને રીલીઝ નહિ કરીએ.' મોરબીમાં પણ ત્રણેય સિંગલ સ્ક્રીન થિયેટરમાંથી એક પણ આ ફિલ્મ રીલીઝ કરવાનું નથી. મોરબીના થિયેટરોના માલિક કિશોર પટેલ, રાજકોટની ગેલેકસી ટોકિઝના માલિક રશ્મિન પટેલે પણ આ વાતનો જ પડઘો પાડ્યો હતો.

કરણી સેનાના અધિકારી રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું, 'અમે સૌરાષ્ટ્રના દરેક થિયેટરને ૨૪ જાન્યુઆરી પહેલા તેમનો નિર્ણય સ્પષ્ટ કરવા જણાવ્યું છે. ત્યાર પછી જે થાય તે માટે અમે જવાબદાર નથી.' શુક્રવારે રાત્રે રાજકોટમાં કરણી સેનાની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં મલ્ટીપ્લેકસ અને સિનેમા હોલના માલિકોને પણ બોલાવવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો પણ મીટીંગમાં હાજર હતા.

અમદાવાદમાં કરણી સેનાના સભ્યો થિયેટર માલિકોને ફિલ્મનો બહિષ્કાર કરવા વાતચીત કરી રહ્યા છે. મલ્ટીપ્લેકસ ઓનર્સ એસોસિયેશનના એક સભ્યએ જણાવ્યું, 'પોલીસે અમને સિકયોરિટી આપવાની ખાતરી આપી છે પરંતુ કોઈ તોડફોડ કરી પ્રોપર્ટીને નુકસાન કરે તો અમારે શું કરવાનું? અમે આટલુ મોટુ રિસ્ક લઈ શકીએ તેમ નથી અને અમે આ ફિલ્મ રીલીઝ ન કરવાનું વિચારી રહ્યા છીએ.'

જો કે રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું, 'નાના મોટા બનાવોને બાદ કરતા કોઈ મોટી ઘટના સામે નથી આવતી. દુર્ઘટના ન બને તે માટે પોલીસ જરૂરી પગલા ભરી રહી છે. અમે લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશની તપાસની પ્રક્રિયા ચાલુ છે.'(૨૧.૮)

(10:04 am IST)