Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમદાવાદમાં વધેલા સંક્રમણ માટે લોકો જવાબદારઃ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ.કે.સિંઘ

કોરોનાનો કહેર વધતાં કેન્દ્રીય ટીમ રાજ્યની મુલાકાતે : ડો. એસકે સિંઘના નેતૃત્વમાં આવેલી ત્રણ સભ્યોની ટીમે અમદાવાદની એસવીપીની મુલાકાત બાદ ખુલાસો કર્યો

અમદાવાદ, તા. ૨૧ : દિવાળી બાદ કોરોનાના કેસ વધતા જતા કેન્દ્ર સરકારની ટીમ અમદાવાદ એસવીપી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી અને કોરોના કેસના ટેસ્ટિંગ અને સંક્રમણ રોકવા અંગે વિશેષ સમીક્ષા કરીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને કેટલાક સૂચનો કર્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિત કેસોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વધુ વકરે નહીં તે માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ.કે.સિંઘની અધ્યક્ષતામાં અન્ય નિષ્ણાંત ડોક્ટરો ગુજરાત આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની અમદાવાદ એસવીપી હોસ્પિટલ ખાતે પહોંચી છે અને અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.બાદમાં તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, શા માટે કોરોના રાજ્યમાં અને સૌથી વધુ અમદાવાદ શહેરમાં વકર્યો.

કેન્દ્રની ટીમે કહ્યું હતું કે,દિવાળીમાં થયેલી લોકોની ભીડભાડને કારણે શહેરમાં કોરોના વકર્યો છે. તહેવારો દરમિયાન લોકોની બેદરકારીને કારણે પરિણામ સામે આવ્યું છે. વધતા જતાં સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસને લઇને સરકાર હરકતમાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા શુક્રવાર રાતે વાગ્યાથી લઇને સોમવારે સવારે વાગ્યા સુધી ૫૭ લાકનું કરફ્યૂ અમદાવાદ શહેરમાં આપવામાં આવ્યું છે ત્યાં રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.

(7:50 pm IST)