Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં ન્યુમોકોકલ કોંજુગેટ રસીકરણની શરૂઆત કરવામાં આવી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનાથળ તથા જેતલપુર ખાતે જીલ્લાકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના બાળકોને ૨૦મી ઓક્ટોબરથી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન (પીસીવી) વિનામૂલ્યે આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનાથળ તથા જેતલપુર ખાતે જીલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચાંગોદર જીલ્લા સદસ્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર, આરસીએચઓ ડો.ગૌતમ નાયક, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
   આરસીએચઓ ડો.ગૌતમ નાયકે જણાવ્યુ હતુ કે, ભારત સરકારના દ્વારા નિયમિત રસીકરણ કાર્યક્રમમાં તા. ૨૦મીથી એક નવી વેક્સિન પીસીવીને સામેલ કરવામાં આવી છે. આ રસીથી બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં મદદ મળશે. અત્યાર સુધી ટીબી,  પોલિયો, ડીપ્થેરિયા, હિપેટાઇટિસ બી, ટીટેનસ, મિસલ, રુબેલા અને રોટા વાયરસના જેવી ગંભીર બિમારીથી રક્ષણ આપતી રસી સરકાર તરફથી વિનામૂલ્યે દરેક સરકારી દવાખાનામાં ઉપલબ્ધ છે. જેમાં બુધવારથી સૌથી મોંઘી એવી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન હવે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં દરેક સરકારી દવાખાના પર વિનામૂલ્યે મળી રહેશે. આ રસીના કુલ ત્રણ ડોઝ દોઢ મહિને સાડા ત્રણ મહિને અને નવ મહિના બાદ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન આપવાથી ન્યુમોકોકલ ન્યુમોનિયાના કારણે થતા ૩૦ થી ૩૫ ટકા બાળકોનું જીવન બચાવી શકાશે અને બાળ મુત્યુદર ઘટાડવામાં મદદરૂપ થશે.

(6:42 pm IST)