Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

કોરોનાની રસીના બે ડોઝ લેનારા અમદાવાદીઓને અપાશે બૂસ્ટર ડોઝ

બૂસ્ટર ડોઝ આપવામાં હેલ્થ અને ફ્રંટલાઈન વર્કર્સ તેમજ વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા અપાશે : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારી કરી છેઃ જોકે, રાજય સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થયા બાદ જ આગળ વધવામાં આવશે

અમદાવાદ, તા.૨૦: AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા શહેરમાં કોરોનીની રસીનો બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી દીધી છે. કોરોનાની રસીના બંને ડોઝ લેનારા નાગરિકોને દિવાળી પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માટેની તૈયારી પણ શરૂ કરી દેવાઈ છે. જોકે, રાજય સરકાર સત્તાવાર જાહેરાત કરે તે પછી જ લોકોને રસી આપવામાં આવશે.

સ્થાનિક અખબાર નવગુજરાત સમયને ખ્પ્ઘ્ના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી અમદાવાદમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ થઈ હતી. કોરોના વેકિસનના બે ડોઝ પૂર્ણ થઈ ગયા હોય તેવા નાગરિકોને ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને સિનિયર સિટીઝનને પ્રાથમિકતા આપવામાં આવશે. દિવાળી પછી બાળકોને કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ થશે અને આ સાથે જ બૂસ્ટર ડોઝ આપવાની પણ શરૂ કરાશે.

૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાનું રસીકરણ શરૂ થયું હતું. કોર્પોરેશને પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને રસી આપી હતી. ત્યારબાદ ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ શરૂ કરાયું હતું. તે પછી ૪૪ વર્ષથી વધુની વયના નાગરિકો અને છેલ્લે ૧૮થી ૪૪ના વયજૂથના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, શરૂઆતના તબક્કામાં કોરોના વેકસીનની તંગી હોવાથી બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૮૪ દિવસ કરાયો હતો. બે ડોઝ વચ્ચેનું અંતર વધારતાં કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવાની ગતિ વધી હતી.

૧૮ ઓકટોબર ૨૦૨૧ સુધીમાં અમદાવાદ શહેરમાં રસીના ૭૦,૧૪,૨૭૪ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૪૬,૦૯,૪૨૨ નાગરિકોને પ્રથમ ડોઝ અપાયો છે જયારે ૨૪,૦૪,૮૫૨ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ, અમદાવાદ શહેરની ટાર્ગેટેડ પોપ્યુલેશનમાંથી ૫૨ ટકા લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા છે. જયારે ફર્સ્ટ ડોઝની સામે બીજો ડોઝ લેનારા ૫૨.૭ ટકા લોકો છે. ૦.૧૭ ટકા નાગરિકો ટાર્ગેટેડ પોપ્યુલેશનના લિસ્ટમાં ના હોવા છતાં તેમને રસીના બંને ડોઝ અપાયા છે. હાલની સ્થિતિએ અમદાવાદ શહેરમાં ૮૪ દિવસનો ગાળો પૂરો થઈ ગયો હોવા છતાં બીજો ડોઝ ન લેવા આવ્યા હોય તેવા નાગરિકોની સંખ્યા બે લાખની આસપાસ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો જણાવે છે કે, અમદાવાદ શહેરમાં પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ ૮૪ થી૧૦૨ દિવસની વચ્ચે લઈ શકાય છે. આ સમયગાળો લાંબો છે ત્યારે બીજો ડોઝ લેવા ના આવનારા લોકોની સંખ્યા વધુ જોવા મળી છે. કોર્પોરેશનનું માનીએ તો, એક ડોઝ લેનારા લોકોની સંખ્યા ૧૦૦ ટકા થઈ જશે પછી બીજો ડોઝ લેવાની સંખ્યા ૧૦૦ ટકા થતાં ઓછામાં ઓછા ત્રણ મહિના લાગશે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંને ડોઝ લેનારા નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. શહેરના નાગરિકોને કોરોના રસીના બંને ડોઝ મળે તે માટે કોર્પોરેશન પાસે પૂરતો જથ્થો છે પરંતુ લોકો સમયસર વેકસીન લેવા આવતા નથી.

અમદાવાદ શહેરમાં કોરોના વેકસીન ઝુંબેશમાં ટાર્ગેટેડ પોપ્યુલેશન સામે ૯૯.૬૭ ટકા લોકોને પહેલો ડોઝ આપી દેવાયો છે. જયારે બીજો ડોઝ ૫૨.૧૭ ટકા લોકોને અપાયો છે. આગામી દિવાળી સુધીમાં ૧૦૦ ટકા નાગરિકોને પહેલો ડોઝ આપ્યા બાદ બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. કોરોનાની રસીના બંને ડોઝ લેનારા નાગરિકો પૈકી હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વર્કરને બૂસ્ટર ડોઝ આપવાનું આયોજન છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે.

ગયા વર્ષે દિવાળી દરમિયાન કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો. ગત વર્ષે દિવાળી પહેલા અને પછી અમદાવાદમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો હતો. પરિણામે હોસ્પિટલોના બેડ ફુલ થઈ ગયા હતા. અમદાવાદ શહેરના દર્દીઓને કલોલ, ગાંધીનગર, ખેડા સહિતના આસપાસના જિલ્લાની હોસ્પિટલોમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આ વખતે દિવાળીમાં ગયા વર્ષ જેવી સ્થિતિ ના થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં દરેક મોલ, નાના-મોટા માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે ઝુંબેશ શરૂ કરશે. આ સિવાય મોલ, મલ્ટીપ્લેકસ, હોટેલ અને રેસ્ટોરાં સહિતના સ્થળોએ વેકસીન સર્ટિફિકેટ વિના એન્ટ્રી ના અપાય તેવી વ્યવસ્થાને વધુ કડક બનાવામાં આવશે. આ મુદ્દે ચકાસણી કર્યા બાદ દંડની કાર્યવાહી થશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ શહેરમાં કોરોનાના પાલન અંગે ઢીલાશ વર્તવામાં આવી રહી છે, જેથી અધિકારીઓ ચિંતામાં છે.

(10:05 am IST)