Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વડોદરા ધર્માંતરણ અને હવાલા કેસમાં આરોપી સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

વડોદરાનો સલાઉદ્દીન ડૉ.ઝાકીર નાયકને મુંબઇના સાયણમાં મળ્યો હોવાની કબુલાત :ઝાકીર નાયક અને ગૌતમ ઉંમર આસામની મુલાકાત લઈ ચુક્યા છે.

વડોદરાના ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછમાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું છે. જેમાં હાલ પણ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે. જેમાં વડોદરાનો સલાઉદ્દીન ડૉ.ઝાકીર નાયકનેમુંબઇના સાયણમાં મળ્યો હોવાની કબુલાત કરી છે. સલાઉદ્દીન શેખે ઝાકીર નાયકની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

સલાઉદ્દીન શેખે જમ્મુ કાશ્મીરના શબ્બીરને 5 થી 7 લાખ જેટલી રકમ મોકલી હોવાની કબૂલાત પણ કરી હતી. તેણે આ રકમ અબ્દુલ્લા ફેફડાંવાળાના કહેવાથી મોકલી હોવાની કબૂલાત કરી છે.

આ ઉપરાંત આ કેસના બીજા આરોપી મૌલાના ગૌતમ ઉમરે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. તેણે કબૂલ્યું છે કે 1995 થી ડો ઝાકીર નાયકના સંપર્કમાં આવ્યો હતો. તેમજ મર્કઝૂલ મહારફના ચેરમેન મૌલાના બદરુદ્દીન અજમલ થકી ગૌતમ ઉંમર ઝાકીર નાયકના સંપર્કમાં આવ્યો
હતો. ઝાકીર નાયક અને ગૌતમ ઉંમર આસામની મુલાકાત લઈ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસની તપાસ દરમિયાન ધર્માંતરણ અને વિદેશથી આવતા ફન્ડ અંગે અનેક મહત્વની વિગતો બંને પાસેથી કઢાવવામાં સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૌલાના ગૌતમ ઉમર પ્રથમ દિવસે તપાસમાં સહયોગ આપી રહ્યો નહોતો. પરંતુ બીજા દિવસે એસઆઇટીના અધિકારીઓએ કેટલાક મજબૂત પુરાવા અને કેટલીક એવી વ્યક્તિઓના નામો તેની સામે મૂકી દેતા હવે મૌલાના ગૌતમ ઉમર કબૂલાત કરવા લાગ્યો છે.

વડોદરા એસ.ઓ.જી અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની બનેલી એસઆઈટીના અધિકારીઓ દ્વારા મૌલાના ગૌતમ ઉમર અને સબાઉદ્દીન શેખની અલગ-અલગ બાબતે પૂછપરછ કરવા ઉપરાંત ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. અને આગામી દિવસોમાં ધર્માંતરણ પ્રકરણ તથા વિદેશથી આવતા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે હજુ વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે.

(10:29 pm IST)